ભચાઉમા આરોગ્ય તંત્રએ પ્રસૂતાઓને વિતરણ કરેલા અનાજમાં જીવાત નીકળતા મહિલાઓમાં રોષ ફેલાયો


રાજ્ય સરકાર દ્વારા પ્રસૂતાઓના આરોગ્યની જાળવણી અંતર્ગત સારવાર, માર્ગદર્શન અને પૌષ્ટિક આહાર ઉપલબ્ધ કરવાની ફરજ આરોગ્ય વિભાગ હેઠળ આવતા આંગડવાડી કેન્દ્રને સોંપવામાં આવી. ત્યારે ભચાઉ નગરના હિંમતપુરા વિસ્તારમાં ત્રણથી ચાર જેટલી પ્રસૂતાઓને અપાયેલા ચણાના પેકેટમાંથી જીવાત નીકળતા લાભાર્થી મહિલા અને તેમના પરિજનોમાં તંત્રની બેદરકારી સામે રોષની લાગણી ફેલાઇ. વિસ્તારના શાળા નંબર 7 ખાતેની આંગડવાડી કેન્દ્ર દ્વારા ચણાના પેકેટ આપવામાં આવ્યા હતા, જે ખોલવામાં આવતા તેના અંદર ચણા સાથે જીવાત પણ નીકળી હોવાનું સામે આવ્યું છે.
આ વિશે ભચાઉના હિમતપુરા ખાતે રહેતી લાભાર્થી શેરબાનુ અલીમામદ રાજા, મુસ્કાન જાવેદ નારેજા અને નસરીન નદીમ અબડાને મળેલા પેકેટમાંથી ચણાની સાથે જીવાત નીકળી હતી. આ વિશે તેઓએ તંત્રની બેદરકારી માટે નારાજગી વ્યક્ત કરી. સ્થાનિકના નુમામદ અબડાએ પ્રસુતિ કાળમાં દરમિયાન આ પ્રકારના અનાજના પેકેટ જોખમ-કારક હોવાનું જણાવ્યું હતું. અલબત્ત આ અંગે આંગડવાડી કેન્દ્રના મહિલા સુપરવાઈઝર દ્વારા આ પેકેટ બહારથી આવતાની સાથે જ વિતરણ કરી દેવામાં આવતા હોવાનું જણાવાયુ હતું.