ગાંધીધામમાં ટ્રાફિક સમસ્યા અંગે કેટલાક નિર્ણયો લેવાયા, ભારે વાહનો માટે પ્રવેશબંધીની ખાત્રી આપાઈ

copy image

ગાંધીધામમાં ઓસ્લો ઓવરબ્રીજ નિર્માણ કાર્યના અનુસંધાને શક્તિનગર સર્વિસ રોડ પરથી ટ્રાફિક ડાયવર્ટ કરાતા બે દિવસથી ઉભી થઈ રહેલી સમસ્યાઓના પગલે પાલિકા દ્વારા સ્થળ પર ધસી જઈ સ્થાનિકો સાથે બેઠક યોજી કેટલાક ફેસલા લીધા હતા. જેના અનુસંધાને એક તરફના બેરીયર્સને હટાવી દેવામાં આવ્યા હતા, તો સર્વિસ રોડ પર ભારે વાહનોની પ્રવેશ બંધી, સ્પીડબ્રેકર સહીતની ખાત્રી આપવામાં આવી હતી.

શક્તિનગર સર્વિસ રોડ પર સ્થાનિકોની જાગૃતતાના આધારે મોટી દુર્ઘટના થતા અટકી હતી. ત્યારે ફ્લાયઓવર નિર્માણથી ઉભી થયેલી આ મુશ્કેલીઓને હલ કરવા રહેવાસીઓ અને પદાધિકારીઓ વચ્ચે વિચાર વિમર્શ થયો. સ્થાનિકોના જણાવ્યા પ્રમાણે જેમાં ભારે વાહનોને સર્વિસ રોડ પર પ્રવેશબંધી, યોગ્ય જગ્યાએ સ્પીડબ્રેકર, બસ જેવા વાહનોને વળવા યોગ્ય ફેરફાર, શક્તિનગર અને સુંદરપુરી વચ્ચે માર્ગની મરામત કરાવવી જેવા મુદાઓ સામેલ કરવામાં આવ્યા હતા. અહી લગાવવામાં આવેલ બેરીકેટ્સને પણ આ દરમ્યાન હટાવી લેવામાં આવ્યા હતા. પાલિકા પ્રમુખ ઈશીતા ટીલવાણી, કરોબારી ચેરમેન પુનીત દુધરેજીયા, નગરસેવક તેજસભાઈ શેઠ, દબાણ શાખાના લોકેંદ્ર શર્મા, આરએંડબીના ઇજનેર મેહૂલભાઇ શાહ, ઠેકેદાર મીતેશભાઇ,સ્થાનીકો ડો. રાજેન્દ્ર શાહ, અમરદીપ ઝાલા, રાજેન્દ્ર રાવ તેમજ ડો. સંજય બારોટ આ બેઠકમાં હાજર રહ્યા હતા.