મિરજાપરના જમણવારમાં બધા વચ્ચે વડા ખૂટ્યાનું કહેતા યુવાનને માર પડ્યો


ભુજ પાસેના મીરજાપર ગામમાં રામાપીરના પાટ પ્રસંગે બહેનના ઘરે જમણવાર હોવાથી બહેન સાથે તેમનો ભત્રીજો પણ ગયો હતો. જમણવારમાં વડા ખુટ્યા હોવાનું બધા વચ્ચે યુવાને બોલી દેતાં મામલો બગડ્યો હતો. ઘટના સંદર્ભે મીરજાપર મધ્યે મહાદેવના મંદિર પાસે રહેતા દક્ષાબેન વસંતભાઇ રાજગોરએ રોહિત રમેશ વ્યાસ, આકાશ રમેશ વ્યાસ, સચિન રમેશ વ્યાસ અને રમેશ દયારામ વ્યાસ વિરૂધ ફરિયાદ દર્જ કરાવી છે. ફરિયાદમાં જણાવ્યું હતું કે, ફરિયાદી મહિલાના મોટા બહેન હર્ષાબહેનના ઘરે રામાપીરનો પાટ હોવાથી જમણવાર રાખ્યો હતો.
જેમાં ફરિયાદી મહિલા, તેમનો દિકરો સુરજ અને ભત્રીજો જયેશ લાભશંકર રાજગોર ગયા. જમણવારમાં વડા પીરસતા જયેશે જમવા બેઠેલા લોકોને વડા ખૂટી ગયા છે, એવું કહેતા જમણવાર પૂરો થયા બાદ ફરિયાદી મહિલાના મોટા બહેનનો પુત્ર સચિનએ જયેશને બોલાવી તને આમંત્રણ ન હતું તો, તું કેમ આવ્યો અને બધાની વચ્ચે અમારી આબરૂ કાઢી એવું કહી ઝઘડો કર્યો હતો. જુની પંચાયત પાસે જયેશની વડાપાઉની રેકડી આવેલી છે. બાદમાં રાત્રીના ત્યાં જઇને ચારેય આરોપીઓએ અમારી આબરૂ કાઢવાની તારી ઓકાત શું છે.એવું કહીને થપડ મારી.
ફરિયાદી મહિલા અને તેમનો પુત્ર તથા ભત્રીજો આરોપીઓના ઘરે ફરિયાદ કરવા જતાં ચારેય આરોપીઓએ ફરિયાદી મહિલાને લાકડીથી માર મારી અને તેમના પુત્ર તથા ભત્રીજા સાથે ઝપાઝપી કરીને જયેશને માર મારી ઇજા પહોંચાડતાં એ ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ દર્જ કારવાઈ હતી. પોલીસે ઘટનાની નોંધ લઇ કાર્યવાહી કરી છે.