ભુજમાં કિશાન સંઘે પોતાની માંગણીઓ પુરી કરવા અનોખી રીતે કર્યો વિરોધ: મંદિરમાં રામધૂન બોલાવી


ગુજરાત સરકાર દ્વારા કચ્છ, સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાત સહિતના પ્રાંતમાં ખેડૂતોને અલગ અલગ દરે વીજ પુરવઠો અપવામાં આવે છે. જેના વિરોધમાં ગાંધીનગર મધ્યે રાજ્યભરના કિશાનોએ હાલ અચોક્કસ મુદ્દતની લડત શરૂ કરી હતી. આ ધરણાં પ્રદર્શનને એક સાપ્તાહથી વધુ સમય વીતી ગયો છતાં પણ સરકાર તરફથી કોઈ જ પ્રતિભાવ ના મળતા ગઈકાલે કચ્છ કિશાન સંઘે ભચાઉના વોન્ધ નજીક રાષ્ટ્રીય ધોરીમાર્ગ પર ચક્કાજામ પણ કર્યો હતો. પરંતુ તંત્ર દ્વારા ખાતરી સિવાય કોઈ સચોટ પરિણામ ના લવાતા આખરે આજે ભગવાન બલરામ જયંતિ પ્રસંગે ભુજમાં કિશાન સંઘે સરકાર વિરોધી ધૂન બોલાવી વિરોધ નોંધાવ્યો.
આ અંગે કચ્છ કિશાન સંઘના પ્રમુખ શિવજીભાઈ આહિરે જણાવ્યું હતું કે, ખેડૂતોને ગુજરાતમાં સમાન દરે વીજળી આપવા સહિતના અનેક પ્રશ્નોની રજૂઆતો કરવામાં આવી છે. આ માટે વિવિધ પ્રકારના આંદોલન પણ કર્યા છતાં પણ સરકારની નિંદ્રા ઊડતી નથી. તેથી આજે ભુજના કલ્યાનેશ્વર મહાદેવ મંદિર મધ્યે મળેલી બેઠક દરમિયાન ખાસ ધૂન બનાવી સર્વે ખેડૂત ભાઈઓ સાથે બોલવામાં આવી હતી. રામધૂન સાથે ભગવાન પાસે સરકારને સદબુદ્ધિ મળે એવી પ્રાર્થના પણ કરવામાં આવી હતી.
આજે ભગવાન બલરામની જન્મ જયંતિ પ્રસંગે જિલ્લાના તમામ તાલુકામાં કિશાન સંઘ દ્વારા તેમના માનમાં બેઠક યોજવામાં આવી હતી. ભુજમાં પણ કચ્છ કિશાન સંઘની આગેવાનીમાં ભુજના કલ્યાનેશ્વર મહાદેવ મંદિર મધ્યે બેઠક મળી હતી. આ સમયે જિલ્લા પ્રમુખ સાથે સંઘના તાલુકા પ્રમુખ કાનજીભાઈ ગાગલ, રવજીભાઈ ચાવડા, મોહનભાઇ પટેલ વગેરે આગેવાનો સાથે ખેડૂત ભાઈઓ ઉપસ્થિત રહ્યા અને અગ્રણીઓએ સરકાર દ્વારા તાકીદે માંગ સ્વીકારવામાં નહિ આવે તો આગામી સમયમાં જિલ્લાના તમામ સતાપક્ષના ધારાસભ્યોના ઘર સામે ધરણાં પ્રદર્શન શરૂ કરવામાં આવશે એવી ચીમકી પણ અપાઈ હતી.