જનાણ CHCમાં તબીબના અભાવ હોતા હાલાકી, દર્દીઓને 80 કિ.મી. દૂર રાપરનો ફેરો

ભચાઉ તાલુકાના ખડીર વિસ્તારના જનાણ ગામમાં આવેલા સામૂહિક આરોગ્ય કેન્દ્રના જર્જરિત બિલ્ડીંગ સાથે-સાથે આરોગ્ય સેવા પણ પડી ભાંગી હોય તેવું નજરાણું સામે આવ્યું. એક બાજુ નવા બિલ્ડીંગ સાથે ઓક્સિજન સહિતની સેવાઓ મળી રહે તેવી વ્યવસ્થાઓ ઊભી કરવાના દાવા કરવાની વચ્ચે હાલની સ્થિતિમાં આ સામૂહિક આરોગ્ય કેન્દ્રમાં તબીબો પણ નથી. જેના લીધે દર્દીઓને સારવાર અર્થ 80 km દૂર રાપર સુધીનો ફેરો ખાવો પડે છે.હાલમાં મુખ્ય તબીબનો ચાર્જ ભચાઉના ડોક્ટરને સોંપવામાં આવ્યો છે ,પણ ભચાઉ થી જનાણનું અંતર 150 km નું થતું હોઇ ડોકટર પણ નિયમિત નથી આવતા.

મુખ્ય તબીબના અભાવથી ઓપીડીમાં પણ નોંધપાત્ર ઘટાડો આવ્યો.અગાઉ દરરોજની ઓપીડી 200 થી અઢીસો હતી.પણ હાલમાં માત્ર 50 થી 70 દર્દીઓ આવી રહ્યા છે. બીમારી તો નથી ઘટી પરંતુ સારવારના અભાવથી લોકો 80 km દૂર રાપર તરફ ફંટાયા છે. ક્યારેક તો એકમાત્ર નર્સથી આખું સીએસસી ચલાવવામાં આવતું હોય છે.

ડીલેવરી અને ગંભીર બીમારી ઉપરાંત સાપ કરડવાના કિસ્સાઓમાં લોકોને હાલાકીનો સામનો કરવો પડે છે. આ અંગે ગાંધીનગર કક્ષા સુધી રજૂઆત કરવા છતાં પણ કોઈ નિવારણ આવ્યો નથી. જે અંગે તંત્ર દ્વારા ઘટતું કરવામાં આવે તે અનિવાર્ય. આ અંગે ગામના સરપંચે જણાવ્યું કે, નાના નાના કામ માટે મુખ્ય ડોક્ટરની સહીની જરૂર પડે છે ઉપરાંત સ્થાનિકે આરોગ્ય વ્યવસ્થા માટે પણ મુખ્યત્વે હાજરી જરૂરી બની રહે છે , તેમની ગેરહાજરીના લીધે ભચાઉ કે રાપર સુધી જવું પડે છે.