ઘરખર્ચમાંથી કટકી કરી રોજ 7 બોટલ ગટગટાવતી બે સંતાનોની માતા, લોટના ડબ્બામાં છુપાવીને રાખતી ‘નશાનો સામાન’

મહિલાએ જણાવ્યુ કે સાહેબ, મને કફની બીમારી હતી. એ દૂર કરવા માટે સિરપની દવા લીધી હતી. શરૂઆતમાં તો દિવસમાં દવાની જેમ પીતી હતી, પરંતુ એનાથી શરીરમાં સ્ફૂર્તિ રહેતી હોવાથી તેની માત્રા વધતી જતી હતી. પછી તો દિવસમાં 7થી 8 સિરપની બોટલો પીવાની આદત પડી ગઇ હતી. જો હું સિરપ ના પીવું તો મને શરીરમાં કળતર થતી, ભૂખ ન લાગે, આંખમાંથી પાણી નીકળે તેમ જ ઝાડા થઇ જતા, એટલે આ સમસ્યાથી બચવા માટે હું આ દલદલમાં વધુ ને વધુ પડતી ગઈ. આ આદત પૂરી કરવા માટે પતિ તરફથી ઘરખર્ચ માટે આપવામાં આવતી રકમમાંથી કટકી કરીને સિરપની બોટલ ખરીદતી. પતિને ખબર ન પડી જાય એ માટે એની બોટલોને હું ઘરના ખૂણેખૂણામાં એટલે કે ગાદલાં નીચે, લોટ અને ચોખાના ડબ્બામાં તેમજ કપડાંની વચ્ચે કબાટમાં છુપાવી દેતી અને છૂપી રીતે સિરપ ગટગટાવી જતી, પરંતુ ખર્ચાઓ વધી જતાં આખરે પતિને ખબર પડી ગઇ.

આ કોઇ ફિલ્મના કે નાટકના ડાયલોગ નથી, પરંતુ સિરપના બંધાણી થઈ ગયેલાં 35 વર્ષીય પરિણીતા શીલાબેન ( પાત્રનું નામ બદલવામાં આવ્યું છે )ના આ શબ્દો છે. તેઓ પતિ તેમજ બે સંતાન સાથે અમદાવાદ શહેરના વાડજ વિસ્તારમાં રહે છે. પતિની આવક અંદાજે 35 હજારની આસપાસની છે. તેમને ઉપરોક્ત હકીકતની ખબર પડતાં પતિ અનિલભાઇ ( નામ બદલવામાં આવ્યું છે ) અને પત્ની શીલાબેન વચ્ચે ઝઘડા થવા લાગ્યા હતા. પરિસ્થિતિ નિયંત્રણ બહાર જતી રહેતાં અનિલભાઇ આખરે તેમનાં પત્ની શીલાબેનની આદત છોડાવવા માટે દિલ્હી દરવાજા ખાતે આવેલી માનસિક આરોગ્ય હોસ્પિટલમાં સારવાર માટે લઇ આવ્યા હતા, જ્યાં શીલાબેને ડો. રમાશંકર યાદવ સમક્ષ પોતાની પત્નીની કથની વર્ણવી હતી. આવી અનેક કથનીઓ ડોક્ટર યાદવના કાને રોજ પડે છે