ચૂંટણીમાં ઝંપલાવવા ભાજપના મહત્ત્વાકાંક્ષીઓમાં કાપાકાપી

ગુજરાત રાજ્ય વિધાનસભાની ચૂંટણીની તારીખ હજુ સત્તાવાર જાહેર નથી થઈ પણ ભારતીય જનતા પાર્ટીના મહત્ત્વાકાંક્ષીઓ ક્યારથી તલપાપડ થઈ ગયા છે, જેમાં ટિકિટ માંગનારાઓ કાપાકાપી ચરમસીમાએ પહોંચી ગયાના હેવાલ છે, જેથી પક્ષ દ્વારા સેન્સ લેવાય ત્યારે અને ઉમેદવાર જાહેર થાય ત્યારે શું સ્થિતિ હશે એની કલ્પના કરી શકાય એમ છે. ગુજરાત રાજ્યમાં ભારતીય જનતા પાર્ટી છેલ્લા 27 વર્ષથી સત્તા ઉપર છે. વિધાનસભાની ચૂંટણી વખતે કોઈને કોઈ પરિબળોને કારણે કસોકસીની પણ શક્યતાઓ વ્યક્ત થતી હોય છે.

પરંતુ, છેલ્લે ભાજપનું પલડું ભારી રહે છે, જેથી ભાજપની ટિકિટ ઉપર ચૂંટણી લડવા માટે ચૂંટણી પહેલા પક્ષમાં જ રસાકસી અને ખેંચતાણનો માહોલ જોવા મળતો હોય છે. પરંતુ, આ વખતે તો મહત્ત્વાકાંક્ષીઓ અને ટિકિટ વાંચ્છુંઓ રીતસરના બળાબળના પારખા ઉપર ઉતરી આવ્યા હોય એવો માહોલ સર્જાય છે. ભુજ વિધાનસભાની ચૂંટણીમાં જૈન અથવા લોહાણા સમાજને ટિકિટ મળશે એવું ગણિત મૂકી ભુજ નગરપાલિકાના પ્રમુખ પોતાને વિધાનસભાની ચૂંટણીના પ્રબળ દાવેદારની અટકળો વહેતી કરાઈ હતી.

પરંતુ, પ્રોટોકોલ મુજબ મુખ્યમંત્રી કે વડાપ્રધાનને એરપોર્ટ ઉપર આવકારાનો નગરપતિનો અધિકાર જ છિનવાઈ ગયો હતો, જેથી જાતજાતની અટકળો થઈ હતી, જેમાં શરૂઆતથી જ નગરપતિને ટૂંકા રાખી હરીફાઈમાંથી બાકાત કરી દેવાની રાજરમત રમાઇ હોવાનું ચર્ચાઈ રહ્યું છે. એવી જ રીતે અન્ય વિધાનસભા વિસ્તારમાં પણ ટિકિટ મેળવનારાઓ પ્રદેશિક કક્ષાએ અને રાષ્ટ્રી સ્તરે કયા વગદારના સંપર્કમાં કોણ છે અને એનો પત્તો ક્યાંથી કેવી રીતે કાપવો એની રાજરમત શરૂ થઈ ગઈ છે.

જોકે, હાલ તો કોનું પલડું ભારી કરવું એ રાજ્ય સ્તરે સી.આર. પાટિલ અને કચ્છ જિલ્લા સ્તરે વિનોદ ચાવડાના હાથમાં હોવાનું ચર્ચાઈ રહ્યું છે. બાકી તો અંતે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ગૃહમંત્રી અમીત શાહ જ નક્કી કરતા હોય છે. એટલે તો વડાપ્રધાનની કચ્છ મુલાકાત વખતે પ્રબળ દાવેદારોને નરેન્દ્ર મોદીથી દૂર રાખવા માટેના ખેલ શરૂ કરી દેવાયા હતા. એવું ચર્ચાઈ રહ્યું છે.