વેરાવળના ડારી ગામે સાત દિવસના બાળકને થેલામાં પૂરી ઝાડીઓમાં ફેંકી દેવાયું રડવાનો અવાજ સાંભળી રાહદારીએ બચાવ કર્યો

copy image

વેરાવળના ડારી ગામે કુમળા ફૂલ જેવા સાત દિવસના બાળકને સિમેન્ટ અને રેતી ભરવાના પ્લાસ્ટિકના થેલામાં પૂરીને મરવા માટે ફેંકી દેવાની ઘટના સામે આવતાં સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી છે. નિષ્ઠુર માતા-પિતાએ ફેંકી દીધેલું બાળક જન્મથી જ કમળાની બિમારીના લીધે નબળું પડેલું હોવાથી તેને પ્લાસ્ટીકની થેલીમાં પેક કરીને કોથળામાં વીંટીને મરવા માટે જ ડારી ગામના અવાવરૂ રસ્તાની બાજુમાં ઝાડીઓમાં ફેંકી દેવાયું હતું. જો કે બાળકના રડવાનો અવાજ સાંભળી ત્યાંથી પસાર થતાં રાહદારીએ તેનો બચાવ કર્યો હતો અને બાળકને સારવાર અર્થે ખસેડાયું હતું. જેને લઈને રામ રાખે તેને કોણ ચાખે એ ઉક્તિ અહિં આગળ સાર્થક થતી નજરે પડી હતી.

આ બાળકને જાણે જગતનો તાત મદદ કરવા માંગતો હોય તેમ જીવન-મરણના જંગમાં ડારી ગામના લોકોનો તેને સાથ મળ્યો હતો. ગામના લોકો દ્વારા સોમનાથ મરીન પોલીસ અને આરોગ્ય વિભાગને જાણ કરવામાં આવી હતી. જેના લીધે પોલીસ સ્ટાફ અને 108 એમ્બ્યુલન્સ વાયુવેગે ઘટનાસ્થળે પહોંચી હતી. ડારી ગામનો મેડિકલ સ્ટાફ બાળકની સાથે 108માં વેરાવળ સિવિલ હોસ્પિટલે પહોંચ્યો હતો. જો કે અગાઉથી મળેલા સંદેશના કારણે બાળકોના ડોક્ટર અજય ઝાલા અને તેમનો મેડિકલ સ્ટાફ બાળકની સારવારની તૈયારી કરી ચૂક્યો હતો. બાળકને સૌપ્રથમ સાફ કરીને તેની ઈજાઓને બિનજ્વલનશીલ એન્ટી સેપ્ટિક દવાઓથી સાફ કરવામાં આવ્યો હતો. ત્યાર બાદ માસુમ બાળકનું ઓક્સિજન લેવલ ઓછું હોવાથી ઝડપભેર તેને ઓક્સિજન આપવામાં આવ્યો હતો.

 તપાસ કરતા ડો. અજય ઝાલાને ખ્યાલ આવ્યો હતો કે બાળકને જન્મ સમયથી જ કમળો છે અને તેની ઉંમર સાત કે આઠ દિવસ છે. જેથી બાળકને કમળાની સારવાર માટે જરૂરી ઇન્જેકશન અને દવાઓ આપવામાં આવી હતી. જેના લીધે સવાર સુધીમાં માસુમ બાળકની સ્થિતિમાં ઘણો સુધારો જોવા મળ્યો હતો. આ રીતે કમળાની સામે જન્મથી જ અને દુર્ભાગ્યવશ મૃત્યુની સામે કલાકોથી જંગે ચડેલા આ સાત દિવસના ફૂલ જેવા માસુમ બાળકનો જીવન-મરણના યુદ્ધમાં હાલમાં તો વિજય થયો છે. હજુ બાળકને તબીબોની દેખરેખ હેઠળ રાખવામાં આવ્યો છે.

આ ઘટના અંગે સોમનાથ મરીન પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે. આ બાળકને કોણ આવી હાલતમાં ફેંકી ગયું તે જાણવા માટે ગામના સરપંચને સાથે રાખી અમુક લોકોના નિવેદન નોંધવાની અને ગામના CCTV ફુટેજ તપાસવાની કામગીરી કરવામાં આવી છે. આ ઉપરાંત ડારી ગામના આરોગ્ય કેન્દ્રમાં પણ તપાસ કરવામાં આવી રહી હોવાનું મરીનના પીઆઈ એન.જી.વાઘેલાએ જણાવ્યું હતું.