નિવૃત્ત SRP જવાને ઘરે ઝેરી દવા પી પોતાનું જીવન ટૂંકાવ્યું


જામનગર તાલુકાના બાડા ગામમાં રહેતા SRP ના પૂર્વ જવાને પોતાના ઘેર ઝેરી દવા પી લઈ આપઘાત કરી લીધો. પત્ની રણુજાના મેળા માંથી મોડી આવતા રસોઈ બનાવવામાં વિલંબ થવાના કારણે ઝઘડો થયા પછી આ પગલું ભરી લીધાનું પોલીસમાં જાહેર થયું છે.
આ બનાવની વિગત એવી છે કે, જામનગર તાલુકાના બાડા ગામમાં રામ મંદિર પાછળ દરબાર વાસમાં રહેતા SRPના પૂર્વ જવાન એવા વિક્રમસિંહ દીપસિંહ જાડેજા નામના 53 વર્ષીય આધેડે સોમવારે પોતાના ઘેર ઝેરી દવા પી લઈ આત્મહત્યાનો પ્રયાસ કરતાં તેઓને સારવાર અર્થે તાત્કાલિક હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતાં, જયાં ટૂંકી સારવાર દરમિયાન તેનું મૃત્યુ નીપજ્યું. આ બનાવ અંગે મૃતકના પુત્ર હિતેન્દ્રસિંહ વિક્રમસિંહ જાડેજાએ પોલીસને જાણ કરતાં પંચકોષી એ. ડિવિઝનના પોલીસ સ્ટાફે મૃતદેહ નો કબજો સંભાળી પોસ્ટ મોર્ટમ સહિતની કાર્યવાહી હાથ ધરી છે.
પોલીસની પૂછપરછ દરમિયાન મૃતકના પત્ની પુત્ર અને પુત્રી વગેરે રણુજાના મેળામાં ગયા હતા, જ્યાંથી મોડા આવવાના કારણે રસોઈ બનાવવામાં મોડું થયું હોવાથી પતિ-પત્ની વચ્ચે ઝઘડો થયો, જેમાં માઠું લાગી આવતાં આ પગલું ભરી લીધાનું પોલીસમાં જાહેર થયું છે. આ બનાવની હિતેન્દ્રસિંહ વિક્રમસિંહ જાડેજાએ જાણ કરતા પંચકોશી-એ ડિવિઝન પોલીસે મૃતકના પરીજનોના નિવેદનો નોંધવાની તજવીજ સાથે આગળની કાર્યવાહી હાથ ધરી છે. મૃતકના પરીવારમાં ઘેરો શોક છવાયો છે. જયારે ગામમાં અરેરાટી વ્યાપી છે.