જામનગરમાં 20 વિક્રેતા પાસેથી 120 મણ ઘાસ જપ્ત કરાયું

જામનગર મહાનગર પાલિકા દ્વારા સપ્ટેમ્બર મહિનાથી જાહેરમાં ઘાસ વેચાણ કરતાં વિક્રેતાઓ પાસેથી ઘાસની જપ્તી તેમજ દંડનીય કાર્યવાહી શરૂ કરવામાં આવી છે. જે અંતર્ગત શહેરમાં 20 વિક્રેતા પાસેથી 120 મણ ઘાસ જપ્ત કરાયું છે. શહેરના જુદા-જુદા વિસ્તારમાં 117 પોઇન્ટ પર ચેકીંગ હાથ ધરવામાં આવી.

શહેરનાં જુદા–જુદા વિસ્તારો જેવા કે, મીગ કોલોની, ખોડીયાર કોલોની, આર્યસમાજ રોડ, સાધના કોલોની, મારૂ કંસારાની વાડી સહિતના વિસ્તારોમાંથી કુલ 117 પોઇન્ટ પર જામનગર મહાનગરપાલિકા દ્વારા ચેકીંગની કામગીરી હાથ ધરવામાં આવેલ છે. 18 જેટલાં જાહેરમાં ઘાસનું વેચાણ કરતા વિક્રેતાઓ પાસેથી દંડની પણ વસુલાત કરવામાં આવી છે.

20 જેટલા વિક્રેતાઓ પાસેથી કુલ 100 થી 120 મણ જેટલો ઘાસનો જથ્થો જપ્ત કરી જામનગર મહાનગરપાલિકા સંચાલિત સોનલનગર આઈસોલેશન સેન્ટર અને બેડેશ્વર સ્થિત ઢોરના ડબ્બે આ ઘાસચારો મોકલવામાં આવ્યો છે. આગામી સમયમાં પણ જાહેરનામાનો ભંગ કરનાર સામે GPMC એકટ–1949 અન્વયે કાર્યવાહી હાથ ધરી નિયમો અનુસાર ઘાસ વિક્રેતાઓ સામે સખત પગલાં લેવામાં આવશે.