જામનગરના જામજોધપુરમાં મહિલાની છેડતી કરનાર શેઠવડાળા પોલીસ સ્ટેશનના પોલીસકર્મીને સસ્પેન્ડ કરાયો


જામનગરના જામજોધપુરમાં એક મહિલાની છેડતી મામલે પોલીસકર્મી વિરુદ્ધ ગુનો નોંધાયા પછી SPએ પોલીસકર્મીને સસ્પેન્ડ કરવાનો આદેશ કર્યો.
જામનગર જિલ્લાના જામજોધપુર તાલુકામાં ગ્રામ્ય વિસ્તારમાં તારીખ 23ના રાત્રીના આઠેક વાગ્યે એક ઘટના ઘટી હતી. જેમાં એક મહિલા મેડિકલ માંથી દવા લઈને તેણીના ગામ સ્કૂટર પર જતી હતી ત્યારે રસ્તામાં શેઠવડાળા પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતો પોલીસ કોન્સ્ટેબલ પૃથ્વીરાજસિંહ દિલુભા જાડેજાએ મહિલાને ઉભી રાખી અને તેણીનો હાથ પકડીને અભદ્ર વાતો કરતા રોડ પરથી વાહન નીકળતા પોલીસકર્મી એ હાથ મૂકી દીધો હતો. ત્યારબાદ મહિલાએ તેની ઘરે પહોંચીને પતિને વાત કરતા પરિવાર અને ગામના સરપંચ સહિતના લોકો ભેગા થયા હતા અને પોલીસકર્મીને સમાધાન માટે બોલાવતા તે આવીને થોડીવાર વાતચીત કરી તે દરમિયાન ઉશકેરાઈને પોલીસકર્મીએ મહિલાને ફડાકો માર્યો હતો. ત્યારબાદ મહિલાની ફરિયાદ પરથી પોલીસે છેડતી સહિતની કલમો હેઠળ ફરિયાદ નોંધાઈ હતી અને પી.એસ.આઇ.આર જોશી એ તપાસ હાથ ધરી હતી. જ્યારે આ ચકચારી બનાવવામાં પોલીસકર્મી દ્વારા મહિલાની છેડતી કરવાના પ્રકરણમાં જિલ્લા પોલીસ વડા પ્રેમસુખ ડેલુએ લાલ આંખ કરી કડક કાર્યવાહી કરી પોલીસકર્મી પૃથ્વીરાજસિંહને સસ્પેન્ડ કરવાનો આદેશ કર્યો છે