ગાંધીધામના ભારાપરમાં આવેલી કંપનીને ભેળસેળવાળો કોલસો પધરાવી રૂ. 8.82 લાખની છેતરપીંડી


ગાંધીધામના ભારાપર પાસે કંડલા બંદરે આવતાં ઈમ્પોર્ટેડ કોલસાના જથ્થાને ટ્રકમાં ભરીને રસ્તામાં અધવચ્ચે ભેળસેળ કરી માટી અને પથ્થરોની ભેળસેળવાળો કોલસો પધરાવી રૂ. 8.82 લાખની છેતરપીંડી કરાઈ હોવાનો બનાવ સામે આવ્યું છે. ભારાપરમાં આવેલી સાલ સ્ટીલ લિમિટેડ કંપનીના જનરલ મેનેજર મનોહર હિન્દુજાએ કંપની સાથે થયેલા વિશ્વાસઘાત બદલ પવન ટ્રાન્સલોગના નામથી પેઢી ધરાવતા શામજી આહીર અને ડમ્પરના ડ્રાઈવર સામે કંડલા મરીન પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે. ફરિયાદીએ જણાવ્યું હતું કે તેમણે ગાંધીધામના અગ્રવાલ કોલ કોર્પોરેશનમાંથી સાઉથ આફ્રિકાનો આરબી-2 ગ્રેડનો ઈમ્પોર્ટેડ કોલસો ખરીદ્યો હતો. કોલસાનો જથ્થો કંડલા પોર્ટના પ્લોટ નંબર 24 માં સંઘરાયેલો હતો. જેથી તેમણે પોર્ટથી કોલસો ભરીને તેને ભારાપરના પ્લાન્ટમાં ઠાલવવા માટે શામજી આહીરને કામ આપ્યું હતું. સોમવારે શામજીની પેઢીના ડમ્પરે 48.870 મેટ્રિક ટન કોલસો કંપનીમાં ખાલી કર્યો હતો. પરંતુ તે આયાતી સાઉથ આફ્રિકન કોલસો નહોતો અને તેમાં માટી-પથ્થરની ભેળસેળ હતી. જેના પગલે કંડલા મરીન પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.