સુખપર નજીક સેવા આશ્રમમાં વિદ્યુત આંચકો લાગવાથી શ્રમજીવીનું મોત નીપજયું

ત્રણ માસ અગાઉ ભુજ નજીકના મીરજાપર સુખપર વચ્ચે જીવતા વાયર થકી કન્ટ્રકશન સાઇટ પર શ્રમજીવીનું મૃત્યુ થયું હતું. એવો જ એક બનાવ શુક્રવારે સવારે સામે આવ્યું. જેમાં ભુજ માંડવી હાઇવે રોડ પર શિવપારસ નજીક આવેલા સેવા આશ્રમના ચાલી રહેલા કામ દરમિયાન વીજ કરંટથી પરપ્રાંતિય આધેડ કામદારનું સવાર પછી જ મોત નીપજ્યું. માનકુવા પોલીસે બનાવની નોંધ લઇ તપાસ હાથ ધરી છે.

માનકુવા પોલીસ મથકેથી પ્રાપ્ત થતી વિગતો મુજબ તેમજ મૂળ ઓડીશાના હાલ ભુજ માંડવી રોડ પર શિવપાર પાસે સેવા આશ્રમના નિર્માણનું કામ કરતા અને ત્યાં જ રહેતા શુબનકુમાર ગુડુકુમાર કુંભારએ પોલીસને જણાવ્યું હતું કે, બનાવ શુક્રવારે સવારના દસ વાગ્યાના અરસામાં બન્યો હતો. જેમાં સેવા આશ્રમના કામ દરમિયાન તેમની પાસે કામ કરતા સુશીલ સુરથ બુદેક (ઉ.વ.48) સળિયાનું કામ કરી રહ્યો હતો તે દરમિયાન સળિયો હાથમાંથી છટકી જતાં સુશીલનો હાથ બાજુમાંથી પસાર થતી PGVCLની લાઇનને અડકી જતાં વીજ કરંટ લાગ્યો હતો.

જેથી સારવાર માટે ભુજ જી.કે.જનરલ હોસ્પિટલમાં લઇ આવતાં જ્યાં પોણા બાર વાગ્યાના સમય ગાળા દરમિયાન હાજર પરના તબીબે સુશીલને મૃત જાહેર કર્યો હતો. માનકુવા પોલીસે બનાવની નોંધ લઇ આગળની તપાસ પોલીસ ઇન્સ્પેક્ટર ડી.આર.ચૌધરીએ હાથ ધરી. અત્રે ઉલેખનીય છે, કે કન્ટ્રકશનના કામની બાજુમાંથી પસાર થતા વીજ વાયરને કારણે ગત 25 મે દરમિયાન મીરજાપર સુખપર રોડ પર કન્ટ્રકશનના કામ દરમિયાન સુખપર ગામના યુવકનું મોત થયું હતું.