મોદીની ભુજ મુલાકાત સમયે રાતોરાત હટાવી દેવામાં આવેલ બમ્પ હવે તો બનાવો!


ભુજ શહેરમાં 28મી ઓગસ્ટે વડાપ્રધાન નરેન્દ્ર મોદી આવ્યા હતા, જેથી આશાપુરા વિદ્યા સંકુલ પાસે રાતોરાત માર્ગોની મરંમત સાથે બમ્પ પણ હટાવી દેવામાં આવ્યા હતા. જેને 15 દિવસ વીતી ગયા છે પરંતુ, ફરીથી એજ જગ્યા બમ્પ લગાડવાની તસ્દી લેવામાં આવી નથી, જેથી 2000 જેટલા વિદ્યાર્થીઓની સલામતી માટે જલ્દી થી બમ્પ લગાડવા મુખ્ય અધિકારી પાસે લેખિતમાં રજૂઆત કરવામાં આવી છે.
શિવશક્તિ સ્ટડી સર્કલ ટ્રસ્ટ સંચાલિત મા આશાપુરા વિદ્યા સંકુલ આસપાસ અનેક સોસાયટીઓ બની ગઈ છે. વળી ત્યાંથી રિંગ રોડ પણ પસાર થાય છે, જેથી દિવસ રાત સતત બેફામ વાહન વ્યવહાર ચાલુ રહેતો હોય છે. આ પૂર્વે એજ સ્થળે અકસ્માતમાં યુવકનું મોત પણ થયું હતું. મા આશાપુરા વિદ્યા સંકુલમાં પ્રાથમિક, માધ્યમિક, હાઈસ્કૂલ ઉપરાંત ઉચ્ચ અભ્યાસ માટે 2000 જેટલા છાત્રો આવે છે.
જેને ધ્યાનમાં લઈ બમ્પ બનાવવા ભુજ નગરપાલિકાના પૂર્વ વિપક્ષી નેતા અને શિવશક્તિ સ્ટડી સર્કલ ટ્રસ્ટના ટ્રસ્ટી રાજેન્દ્રસિંહ જાડેજાએ મુખ્ય અધિકારી જીગર પટેલ પાસે લેખિતમાં રજૂઆત કરી. અત્રે ઉલ્લેખનીય છે કે, રાજ્ય અને કેન્દ્રના નેતાઓ કચ્છની મુલાકાતે આવે ત્યારે એમના વાહનો તેજ ગતિએ પસાર થાય એ માટે રાતોરાત બમ્પ હટાવી દેવામાં આવતા હોય છે, પરંતુ, એ જ ગતિએ ફરી બમ્પ બનાવવાની તસ્દી લેવામાં આવતી નથી.
લોકો તંત્ર પાસે રજૂઆત કરે અને અખબારોમાં ટિકા ટિપ્પણી સાથે છપાય એ બાદ જ એમની આંખ ઊઘડે છે નિંદ્રામાથી જાગે છે, જેથી લોકો પ્રશ્ન પૂછી રહ્યા છે કે, તંત્ર વ્યવસ્થા લોકોની સુવિધા માટે છે કે, નેતાઓની આરામદાયક મુસાફરી અને મુલાકાત માટે ? બમ્બ હટાવી દેવામાં આવતા વાહન ચાલકો હવે બેફામ ગતિએ વાહનો દોડાવી રહ્યા છે, જેથી અકસ્માતમાં કોઇનો જીવ જાય તે પહેલા બમ્પ બનાવવા માંગ ઉઠી.