કચ્છના મુખ્ય સરકારી વકીલ સહિત ત્રણ લોકોનો ચમત્કારીક બચાવ


કચ્છના પ્રવેશદ્વાર સુરજબારી ચેક પોસ્ટ અને સુરજબારી પુલ વચ્ચે રાત્રીના બે વાગ્યાની વેળામાં સર્જાયેલા અકસ્માતની ઘટનામાં જિલ્લાના મુખ્ય સરકારી વકીલ કલ્પેશભાઇ ગોસ્વામી અને તેમના ડ્રાઈવર, કમાન્ડોનો ચમત્કારીક બચાવ થયો. આ વિશે કલ્પેશભાઇએ જણાવ્યું હતું કે, તેઓ ગાંધીનગરથી સરકારી મીટીંગ પૂર્ણ કરીને રાત્રીના ભુજ આવતા હતા ત્યારે સૂરજબારી ચેકપોસ્ટ વટાવ્યા પછી પુલથી આગળ રાત્રીના બે વાગ્યાના સમયગાળામાં અચાનક કારના પાછળની સાઇડના ટાયરમાં પંકચર પડ્યું, કાર સાઇડમાં ઉભી રાખીને રસ્તા પર પસાર થઇ રહેલા એક ટેમ્પો ચાલક ચાસેથી પાનું લઇ ડ્રાઇવર કારનું ટાયર બદલી રહ્યો હતો.
આ દરમિયાન પૂરઝડપે આવી રહેલા ટ્રેઇલરને જોઇને કલ્પેશભાઇએ સમય સતર્કતા સાથે તેમનો કામાન્ડો હિતેશભાઇ જોષી ઉપરાંત ટાયર બદલતા કારના ડ્રાઇવર ભાવેશકુમાર ચૌધરીને તાત્કાલિક પાછળ બોલાવી લીધા. ટ્રેઇલરે ઉભેલી કારને પાછળથી ટકકર મારતાં કાર ત્રીસેક ફુટ ઉછળી અને મદદ માટે આગળ ઉભેલા ટેમ્પો સાથે કાર ભટકાઇ ગઈ હતી.
કલ્પેશભાઇએ કહ્યું કે, મોતથી અઢી ફુટ દુરી પર હતાખરેખર ઇશ્વરનો ચમત્કાર થયો અમારા ત્રણેય લોકોનો આબાદ બચાવ થયો. આ અકસ્માતમાં કારના આગળ-પાછળના ભાગમાં અને ટેમ્પામાં નુકસાન થયું હતું. અકસ્માત સર્જનાર ટ્રેઇલર ચાલકને પકડી લઇ પશ્ચિમ કચ્છ પોલીસ દળમાં એમટી વિભાગમાં ફરજ બજાવતા કારના ચાલક ભાવેશભાઇ હકમાભાઇ ચૌધરીએ ટ્રેઇલરના ચાલક સામે માળિયા મિંયાણા પોલીસ મથકે ફરિયાદ દાખલ કરાવી છે.