વાંકાનેર પાસે સિરામિક ફેક્ટરીની ઓરડીમાં ગેસ લીકેજના કારણે આગ ફાટી: ચાર શ્રમિકો દાઝ્યા


વાંકનેરમાં સિરામિક ફેક્ટરીમાં આવેલી ઓરડીમાં ગેસ લીકેજ થતાં આગ લાગી હતી. આગની જ્વાળાથી ચાર શ્રમિકો દાઝી જતાં તેમને રાજકોટ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા. વાંકાનેર પોલીસે નોંધ કરી વધુ તપાસ શરૂ કરી.
વાંકાનેરમાં માટેલ રોડ પર લેટોજા સિરામિક ફેક્ટરીમાં આજે સવારે બે શ્રમિકો ઊઠીને ચા બનાવવા જતાં ગેસની લાઇનમાં લીકેજ હોવાથી સળગી ઉઠતાં થોડીવાર પછી આગ વધુ ફેલાતાં રૂમમાં રહેલા આશિષ સીધાભાઈ પાલ, કમલેશ રામકારણ પાલ, સિંચન સમેલા પાલ, પવન કાલુ પાલ દાઝી જતાં કારખાનામાં દોડધામ મચી ગઈ હતી. આગ અન્ય શ્રમિકોએ બુઝાવી દાઝી ગયેલા શ્રમિકોને સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતા. ઘટના અંગેની જાણ થતાં વાંકાનેર પોલીસ દોડી ગઈ હતી અને આ વિશે નોંધ કરી હતી. આ વિશેની પ્રાથમિક તપાસ જસપાલસિંહ ઝાલા ચલાવી રહ્યા છે, હાલમાં શ્રમિકોની હાલત સુધારા પર હોવાનું જાણવા મળ્યું. બનાવમાં ઓરડીમાં રહેલી ઘર વખરી બળીને ખાખ થઈ હતી.