ભુજના વેપારીએ ભરતકામ કરતી રતનાલની દેરાણી અને જેઠાણી સાથે કરી‌ 4 લાખની ઠગાઇ

અંજાર તાલુકાના રતનાલ ગામમાં ભરતકામ કરતી દેરાણી-જેઠાણી સાથે ભુજના વેપારીએ  રૂ. 4 લાખની ઠગાઈ કર્યો હોવાનો બનાવ સામે આવ્યો છે, બેંક માંથી લોન મંજૂર થયા પછી પણ માલ કે રૂપિયા પરત ન આપતા વેપારી સામે વિશ્વાસઘાતની ફરિયાદ દાખલ કરવામાં આવી છે.

આ વિશે અંજાર પોલીસ મથકેથી રતનાલ ગામમાં રહેતી 37 વર્ષીય પબીબેન સાજણભાઈ રબારીની ફરિયાદને ધ્યાને લઈ મળતી માહિતી અનુસાર ફરિયાદી અને તેમની દેરાણી હાસુબેન વનાભાઈ રબારીને ભરતકામમાં વિકાસ કરવા માટે ગામની સરકારી બેંક માંથી લોન લેવાની હોવાથી ભુજની શીતલ એન્ટરપ્રાઇઝ અને એન.ડી. એન્ટરપ્રાઇઝના માલિક આરોપી નિખીલભાઈ જેન્તીલાલ રામજીયાણી પાસેથી 50 હજાર અને 1.50 લાખનું અલગ અલગ ક્વોટેશન લીધું હતું.

જેના આધારે બેંક દ્વારા લોન મંજૂર કરી વેપારીની પેઢીના નામે ડી.ડી. આપ્યા. જેને લઈને ફરિયાદી આરોપી પાસે ગયા, જ્યાં હાલમાં માલ પૂરતા સ્ટોકમાં નથી તેવું કહી અઠવાડિયા પછી બોલાવ્યા હતા. અઠવાડિયા પછી જયારે ફરિયાદી ફરી આરોપી પાસે ગયા ત્યારે માલ આપવાની જગ્યાએ રૂ. 1.90 લાખનો ચેક આપ્યો હતો.

જેથી ફરિયાદી તે ચેક બેંકમાં વટાવવા પેમેન્ટ સ્ટોપ કરાવી દીધું જેથી બેંકે રૂપિયા આપ્યા નહિ. જેથી આરોપીનો સંપર્ક કરતાં તેને કોરોના થયો છે તેવું કહી 10 દિવસનો સમય માંગ્યો હતો. જે પછી પણ ફરિયાદી આરોપીના ઘરે પહોંચી ગયા ત્યાં રૂપિયા કે માલ આપવાની સ્પષ્ટ ના કહી દેવાતા ફરીયાદી અને તેની દેરાણી સાથે કુલ રૂ. 4 લાખની છેતરપિંડી થઇ હોવાથી અંજાર પોલીસ મથકમાં ફરિયાદ દાખલ કરવામાં આવી હતી.