માનવઆશ્રમ રોડ પર અશાંતધારા અમલ નહીં તો ચૂંટણી બહિષ્કારના બેનર લાગ્યા

copy image

મહેસાણા શહેરમાં ધોબીઘાટ નેળિયા વિસ્તારની સોસાયટીઓથી લઇ માનવ આશ્રમ ચોકડી સુધીના વિસ્તારમાં અશાંતધારો લાગુ કરવા 20 જેટલી સોસાયટીઓના લોકોએ જિલ્લા કલેક્ટરને રજૂઆત કરી નિર્ણય લેવા માંગણી કર્યાના 5 મહિના થવા છતાં હજુ સુધી કોઇ કાર્યવાહી કરાઇ ન હતી પરિણામે સોસાયટીઓના લોકોએ ચૂંટણી બહિષ્કારના બેનર લગાવવાનું શરૂ કર્યું. ધોબીઘાટ નેળિયા વિસ્તાર બાદ રવિવારે માનવ આશ્રમ નજીક અંબિકા સોસાયટી આગળ અશાંતધારાનો અમલ નહીં તો ચૂંટણીનો બહિષ્કારનું બેનર લાગ્યું હતું. જેને લઇ તંત્ર અને રાજકીય નેતાઓ દોડતા થયા છે.

ગત એપ્રિલ મહિનામાં આ વિસ્તારની 20 જેટલી સોસાયટીઓએ સામુહિક રેલી યોજી ધોબીઘાટ નેળિયુ, વિસનગર લીંક રોડ, માનવ આશ્રમ ચોકડી એરિયામાં અશાંતધારો લાગુ કરવા રજૂઆત કરાઇ હતી. જોકે, સરકાર દ્વારા કોઇ નિર્ણય ન લેવાતાં હરિહર, પંચશીલ, ન્યુ આસોપાલવ, ગોપાલનગર-1 અને 2, ચાણક્ય, ધરતી ટાઉનશીપ, જયવિજય, રાધેશ્યામ, નટરાજ, નિર્માણ અને રામેશ્વર સોસાયટીના લોકોએ બે દિવસ પહેલાં અશાંતધારાનો અમલ નહીં તો ચૂંટણીના બહિષ્કારનું બેનર લગાવી નારાજગી દર્શાવી હતી.

રવિવારે માનવ આશ્રમ ચિરાગ પ્લાઝા આગળ આ વિસ્તારની ન્યુ અંબિકાનગર, દ્વારકાપુરી, ઉમાનગર, આનંદનગર, આકાર નગર, જય ગુરૂદેવ સોસાયટીના લોકોએ એકઠા થઇ અશાંતધારાનો અમલ નહીં તો ચૂંટણીનો બહિષ્કાર, કોઇપણ રાજકીય પક્ષે ચૂંટણી પ્રચાર માટે આવવું નહીં તેવું બેનરમાં લગાવ્યું હતું.