થરાદ-અમદાવાદ એક્સપ્રેસ હાઇવે માટે જમીન સંપાદન કરતાં ખેડૂતોએ વિરોધ પ્રદર્શન કર્યું

copy image

ભારતમાલા પ્રોજેક્ટ અંતર્ગત થરાદ-અમદાવાદ એક્સપ્રેસ હાઈવે માટે જમીન સંપાદન બાબતે મોટી સંખ્યામાં ખેડૂતોએ આજે ગાંધીનગર સત્યાગ્રહ છાવણી મહા સભામાં એકત્ર થઈ વિરોધ પ્રદર્શન કર્યું. ખેડૂતોએ આક્ષેપ કર્યો હતો કે, સરકાર દ્વારા વિશ્વાસમાં લીઈ વિના સંપાદન પ્રક્રીયા કરીને ખેડૂતોને રસ્તે રઝળપાટ કરી દેવાયા છે. જેથી કોઈપણ સંજોગોમાં અમારી જમીન પાછા લઈને જ રહીશું.

ભારત સરકારનો ડ્રિમ પ્રોજેકટ ભારતમાલા બનાસકાંઠાના સરહદી વિસ્તાર વાવ ,સુઇગામ અને થરાદમાંથી પસાર થાય છે. ભારતમાલા પ્રોજેકટ અંતર્ગત બનાસકાંઠા જિલ્લાના સરહદી વિસ્તારમાંથી 489 હેક્ટર જમીન સંપાદન કરાઈ છે. જોકે, આ પ્રોજેકટમાં જંત્રીના ભાવે ખેડૂતોની મોંઘી જમીન સસ્તા ભાવે સંપાદન કરતા ખેડૂતોની હાલત કફોડી બની હોવાથી ખેડૂતો હવે બીજે ક્યાંય જમીન લઈ શકે તેમ નથી. તો પશુપાલનનો વ્યવસાય પણ કરી શકે તેમ ન હોવાથી આ પ્રોજેકટનો વિરોધ કરે છે.

આ પ્રોજેકટનો ખેડુતોએ વિરોધ કરીને વારંવાર રજૂઆતો કરી હોવા છતાં સરકાર દ્વારા આજ દિવસ સુધી ખેડૂતોની માંગણીઓ સંદર્ભે કોઈ ઉકેલ લાવવામાં આવ્યું નથી. જિલ્લા લેવલે આવેદન પત્રો આપીને થાકી ચૂકેલા ખેડૂતોએ આજે ગાંધીનગરમાં મોટી સંખ્યામાં એકત્ર થઈને ભારતમાલા પ્રોજેક્ટનો વિરોધ નોંધાવ્યો. આ બાબતે ખેડૂતોએ આક્રોશ વ્યક્ત કર્યો હતો કે, 213 કિલોમીટર હાઈવેમાં 160 ગામોની હજારો એકર જમીન સંપાદિત કરવાની હોવાથી હજારો ખેડૂતો જમીન હોલ્ડીંગ ગુમાવતા ખેડૂત મટીને ખેત મજૂર બની જશે. ફેન્સીંગવાળો એક્સપ્રેસ હાઈવે બનવાનો હોવાથી જમીનના બે ટુકડા પડી જતા ભૌગોલિક પરિસ્થિતિ બદલાઈ જશે. આ બાબતે ખેડૂતોને સાંભળવામાં નહી આવે તો સૂચિત સંપાદન સામે લડત છેક સુધી ચલાવવામાં આવશે.