ગાંધીનગર સેક્ટર 16 ચોપાટી બજારમાં વેપારીને 3 લોકોએ માર માર્યો


સેક્ટર 16 ચોપાટી બજારમાં સામાન્ય બાબતમાં ફાસ્ટફૂટનો વેપાર કરતા વેપારી સાથે માથાકૂટ કરવામાં આવી. જ્યારે બબાલ ચાલી રહી હતી, તે દરમિયાન અન્ય વેપારી વચ્ચે છોડાવવા પડ્યો તે સમયે વેપારીને પણ ખુરશી ઉઠાવી ફટકારી હતી. જેમા લોહી લુહાણ થઇ જતા સારવાર અર્થે ખસેડવામાં આવ્યો હતો. વધારે લોકો એકઠા થઇ જતા હુમલાખોર ભાગી ગયા હતા, જેમાં એક વ્યક્તિને પકડી પોલીસને હવાલે કર્યો હતો. આ બનાવને લઇને સેક્ટર 21 પોલીસ મથકમાં હુમલાખોર સામે ગુનો નોંધાવ્યો હતો.
ચેનાભાઇ હંસરાજભાઇ રબારી (રહે. સેક્ટર 15 છાપરા) સેક્ટર 16 ચોપાટી બજારમાં પરોઠા શાકની લારી ચલાવી પરિવારનુ ગુજરાન ચલાવી રહ્યા છે. તેમણે ફરિયાદ નોંધાવી હતી કે, મારી લારી બંધ કરી નજીકમાં આવેલી મારા ભાઇ હનુમાન રબારીની લારી ઉપર ગયો હતો. તે સમયે બાજુમા ગણપત હિરાજ રબારીની હોટલ ઉપર અજાણ્યા માણસો બોલાચાલી કરી રહ્યા હતા.
હુમલાખોરને કહ્યુ હતુ કે, તમારે શુ તકલીફ છે, તે મને કહો, તેમ કહેતાની સાથે જ બાજુમાં પડેલી સ્ટીલની ખુરશી ઉઠાવીને સીધી ફટકારી દીધી હતી. આ જોઇને મારો ભાઇ હનુમાન પણ વચ્ચે આવતા ફરીથી ખુરશી મારી દીધી હતી. જેથી ડાબા હાથ ઉપર ઇજાઓ થઇ હતી. જ્યારે હનુમાનને કપાળ ઉપર ઇજા થઇ હતી. મારામારીથી આસપાસના વેપારીઓ અને લોકો એકઠા થઇ ગયા હતા. જેમા ત્રણ હુમલાખોર ભાગવા લાગ્યા જેમા એકને હાજર લોકોએ પકડીને પોલીસને સોપ્યો હતો અને પૂછપરછ દરમિયાન તમામ હુમલાખોરમાં પકડાયેલો અરવિંદ મંગા ઠાકોર, જ્યારે તેની સાથે આવેલા લાલો સેંધા ઠાકોર (બંને રહે. વાવોલ) અને વિષ્ણુ રાવળ (રહે. સે. 25) મારામારી કરી ફરાર થઇ ગયા હતા.