અમદાવાદમાં નવા નરોડા વિસ્તારમાંથી 2.37 લાખનો કફ સિરપનો ગેરકાયદે જથ્થો પકડાયો, 1ની અટકાયત

copy image

અમદાવાદમાં ઠક્કરબાપાનગર મધ્યે આવેલી એક દુકાનમાંથી સ્પેશિયલ ઓપરેશન ગ્રુપે 2.37 લાખની ગેરકાયદે કફ સિરપનો જથ્થો ઝડપી લીધો હતો. પોલીસે એક આરોપીની અટકાયત કરી હતી. આરોપી કોને કોને સીરપ વેચાણ કરતો અને કેટલા સમયથી ગેરકાયદે વેપાર કરતો તે મામલે પોલીસે તપાસ હાથ ધરી છે. આ વિશે એનડીપીએસ એક્ટ મુજબ ગુનો દાખલ કરી પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

શહેરના ઠક્કરબાપાનગર વિસ્તારમાં આવેલી હરીજન સિન્ધી કો.ઓ.હા.સોસાયટી મધ્યે કફ સિરપનો જથ્થો પડ્યો હોવાની વિગત એસઓજીને મળી હતી. આ બાબતે અમદાવાદ એસઓજીના ડીવાયએસપી બી સી સોલંકીએ જણાવ્યું હતું કે, ગઇ રાત્રે માહિતી આધારે પોલીસની ટીમે રેડ પાડી અને ત્યાથી કફ સીરપનો ગેરકાયદે જથ્થો મળ્યો હતો. પોલીસે નવા નરોડા મધ્યે આવેલા ડિ માર્ટ નજીકના અક્ષરધામ રેસિડેન્સીમાં રહેતા મયુરસિંહ ઉર્ફે મોનુ અશોકસિંહ ક્ષત્રિય (ઉ.26)ની અટકાયત કરી હતી.

પોલીસે હરીજન સિન્ધી કો.ઓ.હા. સોસાયટીની દુકાનમાંથી 1 મોબાઇલ, અન્ય દસ્તાવેજો અને કફ સિરપના બોક્ષ એટલે કે 1255 નંગ બોટલો ઝડપી લીધી હતી. પોલીસે 2.37 લાખના મુદ્દામાલ સાથે આરોપીની અટકાયત કરી હતી. આરોપી ગેરકાયદે રીતે લોકોને કફ સીરપ આપતો હતો અને નશા માટે આપતો હોવાનું પોલીસ તપાસમાં સામે આવ્યું હતું. આરોપી કફ સિરપ ક્યાથી લાવતો અને કોને કોને વેચાણ કરતો તે વિશે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. આરોપીના સાથીદારો અંગે પણ પોલીસે તપાસ હાથ ધરી છે.