હાઉસિંગ બોર્ડની પ્રોત્સાહક વળતર યોજનામાં અધિકારી કર્મચારી હાજર ન થતાં અરજદારો અકળાયા


સમગ્ર દેશમાં આઝાદી કા અમૃત મહોત્સવ ઉજવામાં આવી રહ્યો છે, ત્યારે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે આ ઉજવણી અંતર્ગત પ્રોત્સાહક વળતર યોજના જાહેર કરી. આ યોજનાનો લાભ લોકોને ઘરઆંગણે મળી રહે તે માટે 7મી સપ્ટેમ્બરથી વિવિધ વિસ્તારોમાં કેમ્પ યોજવામાં આવ્યા છે. જેમા 21મી સપ્ટેમ્બરે ભુજમાં ઉમેદનગર અને કૈલાસનગર મધ્યે કેમ્પ યોજવામાં આવશે તેવી જાહેરાત કરાઈ હતી. બુધવારે સવારથી અરજદારો આ બંને ઠેકાણે પહોંચી ગયા હતા. બપોર સુધી એક પણ અધિકારી કે કર્મચારી હાજર ન થતાં અરજદારો અકળાયા હતા.
હાઉસિંગ બોર્ડના મકાનના હપ્તા ભરવાના બાકી રહી ગયા હોય તેવા રહેવાસીઓ, હપ્તાની ચડત ૨કમ ભરીને 100 ટકા પેનલ્ટી માફી મેળવવા વગેરે જેવા કામ સબબ નિરાકરણની યોજના આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત હોવાનું રાજકોટના એસ્ટેટ મેનેજર એ.જે. કનેરિયાએ જે તે સમયે જણાવ્યું હતું.
આઝાદી કા અમૃત મહોત્સવ–પ્રોત્સાહક વળત૨ યોજનાને 10 ઑક્ટોબર સુધી લંબાવાઇ છે. સ્થળ પર હાજર અરજદાર મહેશભાઈ કંસારાએ જણાવ્યું હતું કે, આ રીતે લોકોને બોલાવી અને ધરમ ધક્કા ખવડાવતા હોય તો સરકારની ખરાબ છાપ ઊભી થશે. રસ્તાઓ પર બેનર લગાવી અને અખબારમાં સમાચાર છપાવી લોકોને ગેરમાર્ગે ન દોરવા જોઈએ.