સાયલા પાસે કાર પલટી જતા અકસ્માત: રાજકોટ જેલના કર્મચારીનું મોત


સુરેન્દ્રનગર જિલ્લાના સાયલાના ગોસળ નજીક રાજકોટ તરફથી આવતી કારનું ટાયર ફાટતા ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. તેમાં રાજકોટમાં ફરજ બજાવતા જેલ કર્મચારીનું મૃત્યુ નિપજ્યુ હતુ. આ અકસ્માતથી જેલના સહકર્મીઓમાં શોકની લાગણી પ્રસરી હતી. આ બનાવમાં બે વ્યક્તિને ઇજા પહોચી હતી.
રાજકોટ મધ્યે જેલ સિપાઈ તરીકે ફરજ બજાવતા કિરીટસિંહ ભીખુભા સોલંકી શ્રાદ્ધ નિમિત્તે પરિવાર સાથે કાર લઇને પોતાના વતન મઢાદ ગામમાં જઇ રહ્યા હતા ત્યારે સાયલા નજીક ગોસળના બોર્ડ પાસે ટાયર ફાટતા કાર પલટી ખાઇ ગઇ. આ અકસ્માતમાં ગંભીર ઇજા થવાના કારણે કિરીટસિંહ સોલંકીનું મૃત્યુ નિપજ્યુ હતું. જ્યારે પ્રદીપ વજુભાઈ અસવાર અને મિતલબેન પ્રદીપભાઈ અસવાર સહિત બંને વ્યક્તિને સામાન્ય ઈજા થઈ હતી.
તેઓને સારવાર માટે સાયલા સરકારી હોસ્પિટલ મધ્યે ખસેડાયા હતા. જ્યારે લાશને પીએમ માટે સાયલા સરકારી હોસ્પિટલ મધ્યે ખસેડાઇ હતી. બનાવની જાણ થતા જેલના કર્મચારીઓ હોસ્પિટલ દોડી ગયા હતા. આ બનાવથી યુવાનના પરિવારમાં શોક છવાઇ જવા પામ્યો હતો.