અંજાર-રતનાલ હાઇવે પર સુગારિયા ફાટક નજીક અડધા કરોડનો શરાબ-બીયરનો જથ્થો પકડાયો


અંજાર પોલીસ અને પુર્વ કચ્છ એલસીબીની ટીમે સંયુક્ત કામગીરી કરી સુગારીયા ફાટક પાસેથી ભુજ જઈ રહેલી મહારાષ્ટ્ર પાર્સીંગની બાંગ્લા બોડી વાળી ટ્રકને રોકવામાં આવી હતી, જે ટ્રકમાં પશુઆહારની આડમાં છુપાવીને ભુજ જઈ રહેલો 48.52 લાખના શરાબ-બીયરના જથ્થા સાથે મહારાષ્ટ્રના બે સખ્શોને દબોચી લેવાયા હતા. આ કામગીરીમાં શરાબ સહિત કુલ રૂ. 63.52 લાખનો મુદ્દામાલ જપ્ત કરાયો હતો. આ વિશે અંજાર પોલીસે માહિતી આપતા જણાવ્યું હતું કે, અંજાર પોલીસે તથા પૂર્વ કચ્છ એલ.સી.બી.ની ટીમને બાતમી મળી હતી કે, મહારાષ્ટ્ર પાર્સીંગની બાંગ્લા બોડીની એક ટ્રક સુગારીયા ગામ તરફ જવાના રસ્તે ભુજ જઈ રહી છે.
જેથી બંને ટીમે સંયુકત રીતે વોચ ગોઠવતા સુગારીયા ફાટકથી થોડે પહેલા બાતમી વાળી એમએચ 11 એએલ 4474 નંબર વાળી ટ્રકને રોકવામાં આવી હતી. જે ટ્રકને તપાસતા પશુ આહારની બોરીઓ મળી આવી હતી, જેની આડમાં શરાબનો મોટો જથ્થો ભુજ તરફ લઈ જવાતું હોવાનું સામે આવ્યું હતું. પોલીસે ભારતીય બનાવટની વિદેશી શરાબની 750ml ની રૂ. 28,12,500ના કિમતની શીલબંધ 7152, રૂ. 17,04,000ના 180ml ના કવાટરીયા 17040 ઉપરાંત રૂ. 3,36,000ના બિયરના 3360 ટીન કુલ રૂ. 48.52 લાખનો શરાબનો જથ્થો મળ્યો હતો.
જેથી પોલીસે શરાબ બિયરનો જથ્થો અને રૂ. 15 લાખની ટ્રક, 10 હજારના 2 મોબાઈલ તથા પશુઆહારના કોથાળ 30 મળી કુલ રૂ. 63,62,500નો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો હતો. આ સાથે કીડગાવ સતારા મહારાષ્ટ્રમાં રહેતો 32 વર્ષીય અજીત વિઠ્ઠલ વાઘમલે અને સતારા, મહારાષ્ટ્રમાં રહેતો 37 વર્ષીય સંદીપ શંકર પવાર પણ મળી આવતા તેને પકડી લેવાયા હતા. પકડાયેલા આરોપીઓની પુછપરછ કરતા જથ્થો મોકલનાર સતારા, મહારાષ્ટ્રમાં રહેતો અક્ષય સંજય ગવડેનું નામ સામે આવ્યું હતું. જયારે માલ મંગાવનાર કોણ હતો તેની ભાળ મળી નથી. જેથી પોલીસે ચારેય આરોપીઓ સામે ગુનો દાખલ કરી આગળની વધુ તપાસ હાથ ધરી છે.