ગોઝારિયા-મેઉ રોડ પર ઉભેલી ટ્રક પાછળ રિક્ષા ઘૂસી જતાં એકનું મૃત્યુ, બે ઘાયલ


મહેસાણા તાલુકાના ગોઝારિયાથી મેઉ જવાના રોડ પર રાત્રે ટ્રકની પાછળના ભાગમાં રિક્ષા અથડાતાં અમદાવાદની એક વ્યક્તિનું મૃત્યુ નીપજ્યું હતું, જ્યારે બે ઇજાગ્રસ્તોને સારવાર માટે હોસ્પિટલ દાખલ કરવામાં આવ્યા હતા. રિક્ષાચાલકે લાંઘણજ પોલીસ સ્ટેશનમાં ટ્રકચાલક સામે ફરિયાદ દાખલ કરાવી હતી.
અમદાવાદના નવા નરોડા પાર્થ ટેનામેન્ટમાં રહેતા જસવંતભાઇ અમૃતભાઇ મહેરીયા રાત્રે મહેસાણા તાલુકાના મેઉ ગામમાં તેમના સાઢુભાઇ વિનોદભાઇના ઘરે જવા ગીરીશકુમાર અંબારામ રાઠોડ અને રોહીતકુમાર કાનજીભાઇ સોલંકી સાથે રિક્ષા લઇને નીકળ્યા ત્યારે ગોઝારિયાથી મેઉ જવાના રોડ પર ઊભેલી ટ્રક (જીજે 05 એવી 6960)ના પાછળના ભાગમાં ટક્કરાઈ હતી. આ અકસ્માતમાં રિક્ષામાં સવાર ત્રણેયને માથા અને શરીરના ભાગમાં ગંભીર ઇજા પહોચી હતી. જેમને 108માં મારફતે સિવિલ લઇ જવામાં આવ્યા હતા. જ્યાં ફરજ પરના તબીબે ગીરીશકુમાર રાઠોડને મૃત ઘોષિત કર્યા હતા. જ્યારે રોહિતકુમાર સોલંકીની પ્રાથમિક સારવાર કરી લાયન્સ હોસ્પિટલમાં રીફર કરવામાં આવ્યા હતા.