અલગ-અલગ ટુર ઉપલબ્ધ કરાવવાના બહાને છેતરપિંડી આચરનારા ગેંગના છ સખ્શોને પાલનપુર પોલીસે ઝડપી પાડ્યા

copy image

લારીયા ઇન્ડિયા રિસોર્ટની મેમ્બરશીપ તથા મેમ્બરોને અલગ-અલગ ટુર ઉપલબ્ધ કરાવવાના બહાને છેતરપિંડી આચરનારા ગેંગના દિલ્હી તથા ગુજરાત મળી કુલ છ સખ્શોની પાલનપુર તાલુકા પોલીસે પકડી પાડ્યા હતા. પોલીસે કુલ રૂ. 1.20 લાખનો મુદ્દામાલ કબ્જે કરી આગળની તપાસ હાથ ધરી છે.
લારીયા ઇન્ડીયા રિસોર્ટના નામથી હોટલ કેપલ પાલનપુર મધ્યે ફેમિલી ડિનર માટે અલગ અલગ વ્યક્તિઓને મેસેજ કરી અલગ-અલગ કોડ નંબર આપવામાં આવ્યા હતા. જેથી બનાસકાંઠા જિલ્લાના ઘણા બધા માણસો ઉક્ત ફેમિલી ડિનર પ્રોગ્રામમાં હાજર રહ્યા હતા. ઉક્ત કંપની વતી રાજદીપ ગોહિલ, નિશાંત, જય, ગોપાલ તેમજ પોપટ નામના સખ્શોએ ફેમિલી ડિનર માટે આવેલા વ્યક્તિઓને લોભામણી લાલચ આપી 10 વર્ષની મુદતની કંપનીની મેમ્બશીપ ઉપલબ્ધ કરાવવા તથા તેના પેટે રૂ. 1.20 લાખ ભરવાનું પ્રલોભન આપતા ફરિયાદી અશોકકુમાર શ્રીમાળી પાલનપુર વાળાની ફરિયાદના આધારે પાલનપુર તાલુકા પોલીસ સ્ટેશને ઉક્ત લારીસા ઇન્ડિયા રિસોર્ટના સંચાલનકર્તા સામે ગુનો નોંધવામાં આવ્યો હતો. પોલીસે આ અંગે તપાસ હાથ ધરી હતી.
​​​​​​​

પાલનપુર તાલુકા પોલીસે ટેકનીકલ સોર્સ વડે ઉક્ત કામે સંકડાયેલા લારીયા ઇન્ડિયા રિસોર્ટ ગ્રુપ અંગે માહિતી મેળવી દિલ્હી સુધી તપાસ કરી આરોપીઓ સામે મહત્વના પુરાવા એકઠા કર્યા હતા. ઉકત કામે સંકડાયેલા 1 મનીન્દરકૌર નરેન્દ્રસિંહ ભોગલ રહે. હરિયાણા, નરેન્દ્રસિંહ દેવેન્દ્રસિંહ ભોગલ રહે હરિયાણા, જય ગોરેશભાઈ રાઠોડ રહે ઘોઘા સર્કલ ભાવનગર, રાજદીપસિંહ ભરતસિંહ ગોહિલ રહે આનંદ નગર ભાવનગર, નિશાંત અશોકભાઈ શ્રીવાસ્તવ રહે કિશન કુંજ નવી દિલ્હી, કવિતા રામ લખન કોલી રહે ત્રિકમ પુરી ઇસ્ટ દિલ્લી હાલ ગાજીયાબાદ ઉત્તરપ્રદેશમાં રહેનારની અટકાયત કરી તેમના પાસેથી આ કામની છેતરપિંડીમાં ગયેલા રોકડ રકમ 1 લાખ 20 હજારની રિકવરી કરાઈ છે.
​​​​​​​​​​​​​​
મુખ્ય આરોપી નરેન્દ્રસિંહ દેવેસિંહ ભોગલ તેમની પત્ની મનીન્દરકોર ઉપરાંત કવિતા રામ લખન કોલી દ્વારા ઉકત લારીયા ઇન્ડિયા રિસોર્ટ નામની કંપની ઊભી કરી લોકોને લોભામણી લાલચ આપી 10 વર્ષની મુદતની કંપનીની મેમ્બરશીપ ઉપલબ્ધ કરાવવા તેના પેટે 1 લાખ 20 હજાર ભરવાનું પ્રલોભન આપ્યું. ગુજરાતના વિવિધ શહેરોમાં ફેમિલી ડિનરના નામે લંચ પ્રોગ્રામ રાખી લોકો પાસેથી 1 લાખ 20 હજાર મેળવી લઈ ફોન બંધ કરી છેતરપિંડી આચરી હોવાનું બહાર આવ્યું છે. ગુજરાતમાં આ રીતે છેતરપિંડી આચરવામાં માટે ગોપાલ પોપટ અને જય ગોરેશભાઈ રાઠોડ ઉપરાંત રાજદીપસિંહ ભરતસિંહ ગોહિલની મદદ મેળવી ગુનો આચર્યો હોવાની વિગત પોલીસ તપાસ દરમિયાન સામે આવી છે. આ કામમાં આરોપીઓએ ગુના સિવાય અન્ય લોકો સાથે પણ આ પ્રકારની છેતરપિંડી કરી હોવા અંગે આરોપીઓની પૂછપરછ કરી તપાસ હાથ ધરવામાં આવી છે.