ઉગેડી નજીક હનુમાન ટેકરી પરથી 73 હજારની કિંમતના ગાંજા સાથે સાધુ સહિત બે ઇસમો ઝડપાયા


નખત્રાણાના ઉગડી નજીક આવેલા હનુમાન ટેકરી પાસેની ઓરડીમાં મળતી માહિતી પરથી પશ્ચિમ કચ્છ સ્પેશીયલ ઓપરેશન ગ્રુપે દરોડો પાડીને ગાંજાનો વેપલો કરતા સાધુ તેમજ નખત્રાણાના શખ્સ સહિત બે આરોપીઓને 536 ગ્રામ ગાંજો, તેમજ ગાંજાના 25 છોડ મળી કુલ 7.250 કિલો ગાંજો જેની કિંમત રૂપિયા 72 હજાર 500 તેમજ 5 હજારના બે મોબાઇલ તથા 530 રોકડ રૂપિયા સમેત કુલ 78,030ના મુદ્દામાલ સાથે ઝડપી પાડી સમગ્ર નેટવર્કનો પર્દાફાશ કર્યો હતો. આરોપીઓની પુછપરછમાં માલ રાધનપુર અને સુરતના બે ઇસમો પાસેથી લીધો હોવાનું બહાર આવ્યું હતું. પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
આ અંગે SOGના નવ નિયુક્ત ઇન્સ્પેકટર વી.વી.ભોલાએ જણાવ્યું હતું કે, મુળ મધ્યપ્રદેશના રતલામ અને બાદ મોરબી રહ્યા બાદ હાલ નખત્રાણાના ઉગેડી હનુમાન ટેકરી પર રહેતા બાલકનાથ ગુરૂકૈલાશ નાથ (ઉ.વ.52) નામનો સાધુ ગાંજાનો વેપાર કરતો હોવાની બાતમી SOGના હેડ કોન્સ્ટેબલ મદનસિંહ લાલુભા જાડેજાને મળી હતી. જેથી પોલીસે રેડ પાડીને 386 ગ્રામ ગાંજો જેની કિંમત રૂપિયા 3,860 અને 25 ગાંજાના છોડ 6.714કિલો ગ્રામ જેની કિંમત રૂપિયા 67,140 તથા બે હજારના એક મોબાઇલ સાથે ઝડપી પાડી પુછપરછ કરતાં તેની પાસેથી નખત્રાણાના રાજેશ લાલજી ભાટીયા નામનો શખ્સ ગાંજો વેચાણ માટે લઇ ગયો હતો.
પોલીસે આરોપી રાજેશને પકડી તેના કબજામાંથી રૂપિયા 1,500ની કિંમતનો 150 ગ્રામ ગાંજો અને 3 હજારનો મોબાઇલ તેમજ રોકડ રૂપિયા 530 સાથે પકડી બન્નેના કબજામાંથી કુલ 78 હજારનો મુદામાલ કબજે કર્યો હતો. પકડાયેલા આરોપીઓની વધુ પુછપરછમાં રાધનપુરના વિરપ્પન અને સુરતના એક અજાણ્યા શખ્સ પાસેથી ગાંજો વેચવા માટે લઇ આવતા હોવાનું પોલીસ પાસે કબુલ્યું હતું. SOGએ નખત્રાણા પોલીસ મથકમાં પકડાયેલા આરોપી સહિત ચાર જણાઓ વિરુધ્ધ નાર્કોટીક્સની વિવિધ કલમો તળે ગુનો નોંધાવ્યો હતો. SOGના PI વી.વી. ભોલાના માર્ગદર્શનમાં હેઠળ ASI જોરાવરસિંહ જાડેજા, ઘનશ્યામસિંહ જાડેજા, મદનસિંહ જાડેજા, રજાક સોતા, ધર્મેન્દ્રસિંહ ગોહિલ વિગેરે જોડાયા હતા.