માર્ગોનું કામ શરૂ કરવા ત્રણે એજન્સીને નગર-પાલિકા દ્વારા છેલ્લી ત્રીજી નોટિસ અપાઈ

ગાંધીધામના ખસ્તાહાલ માર્ગો તેના ગેરંટી સમયગાળામાં હોવાથી પહેલા જેમણે રોડ નિર્માણ કર્યુ છે, તેમની જ જવાબદારી ફરી રીસર્ફેસીંગ કે યોગ્ય પગલા ભરવાની રહેતી હોવાથી પરેશાન થતા અને રોષેભરાયેલા લોકોની લાગણી જોયા બાદ નગરપાલિકાએ એક બાદ બે નોટિસો જે તે એજન્સીઓને પાઠવ્યા બાદ, ત્રણેય એજન્સીઓને સોમવારે આખરે ત્રીજી નોટિસની બજવણી પણ કરી દઈને પોતાનો રુખ સાફ કરી દીધો હતો. હવે જો ગેરંટી સમયગાળામાં રહેલા માર્ગોનું રીસર્ફેસીંગ ન કરાયું તો જે તે એજન્સી સામે કાયદાકીય ધોરણે પગલા ભરીને સરકારમાં કર્સરની જોગવાઈ તળે પણ રિપોર્ટ કરવાની તૈયારી દાખવી હતી.

ઓસ્લો ગોલાઈ આસપાસ નિર્માણાધિન ઓવરબ્રીજના કારણે ખસ્તાહાલ બનેલા સર્વિસ માર્ગોથી નગરજનો ત્રાહિમામ પોકારી રહ્યા છે, તો તેને બનાવનારાઓ આ તાલને મુંગા પોઢે જોઇ રહ્યા છે. ગાંધીધામ નગરપાલિકાના ચીફ ઓફિસર દર્શનસિંહ ચાવડાએ જણાવ્યું કે રાજાણી કંટ્રક્શન, ગણેશ કંટ્રક્શન અને અંકીત કંટ્રક્શન, આ ત્રણેય એજન્સીઓ કે જેમાંથી અમુકે ટાગોર રોડના સર્વિસ રોડ અને કેટલાકે શહેરના આંતરિક માર્ગો બનાવ્યા હતા. તેની હાલત હાલ ચોમાસા પછી ખસ્તા થઈ ગઈ હોવાથી તેનું ફરી રીસર્ફેસીંગ કરી દેવા જણાવાયું હતું. પરંતુ જાણ કર્યા છતાં કોઇ કાર્યવાહી ન થતા ગત દિવસોમાં એક અને ત્યારબાદ બીજી નોટિસ આપી હતી.

પરંતુ છતાંય કોઇ કામગીરી શરૂ ન કરાતા અંતિમ અને ત્રીજી નોટિસ ત્રણેયને પાઠવાઈ છે. ત્યારબાદ પણ કોઇ પગલા નહી ભરાય તો સરકારમાં કર્સરની જોગવાઈ તળે તે અંગે રજુઆત કરાશે. જે અંતર્ગત સરકાર કેસ તપાસ્યા બાદ યોગ્ય સ્થિતિ ઠેરવતા જે તે એજન્સીને રાજ્યની કોઇ પાલિકાથી આ એજન્સીઓ સાથે કામ ન કરવાનો મંતવ્ય ધરાવી શકે, એટલે કે બીજા શબ્દોમાં તમામ નગરપાલિકાઓ માંથી બ્લેકલીસ્ટેડ થઈ શકે. લોકોની પરેશાનીઓ અને નગરપાલિકાની આવતી નોટિસો બાદ હવે આ કામ ક્યારે શરૂ થાય છે, કે નથી થતું તે જોવું રહ્યું. અલબતા, MLA અગાઉજ સર્વિસ રોડની મરંમત માટે માર્ગ અને મકાન વિભાગને સુચિત કરી ચુક્યા છે.