મોખાણામાં સશસ્ત્ર ધિંગાણુ: 40 જણાના ટોળાનો હુમલો


ભુજ તાલુકાના મોખાણા ગામે રામદેવપીર મંદિર પાસે નવરાત્રીના તહેવારની ઉજવણીનું મનદુ:ખ રાખીને 40 જણાના ટોળાએ ઘોકા, પાઇપ, ધારિયા, તલવાર સાથે ઘરના દરવાજા તોડીને પતિ-પત્ની અને બે પુત્રો પર હુમલો કરતાં સામ સામે મારામારી થઇ હતી. જેમાં બન્ને પક્ષના આઠ લોકોને ઇજા પહોંચતાં સારવાર માટે હોસ્પિટલમાં ખસેડાયા.
પ્રાપ્ત વિગતો મુજબ બનાવ ગઈ કાલે સવારે સાડા દસ વાગ્યાના અરસામાં રામદેવપીર મંદિર પાસે બન્યો હતો. જી.કે.જનરલ હોસ્પિટલની પોલીસ ચોકીમાં મોખાણા ગામે રહેતા જીતેન્દ્ર વેલજી મેરીયાએ પોલીસને જણાવ્યું હતું કે, ઇજા પામનાર ગોપાલભાઇ જેઠાભાઇ મેરીયા (ઉ.વ.53), રાજેશ ગોપાલ મેરીયા (ઉ.વ.26), લખીબેન ગોપાલભાઇ મેરીયા (ઉ.વ.50), દિનેશ ગોપાલ મેરીયા (ઉ.વ.26) તેમના સબંધી થાય છે. ઘાયલોને સુરેશ સામળીયા તથા વેલજી રવા, અને લખુ ગોપાલ નામના ઇસમોએ આવીને ધોકા પાઇપથી માર મારીને ઇજા પહોંચાડી હતી.
તો, ધાણેટી ગામે રહેતા સુરેશ કાનજી સામળીયા (ઉ.વ.35), મોખાણા ગામે રહેતા બાબુ રવા મેરીયા (ઉ.વ.55), લખમણ ગોપાલ મેરીયા (ઉ.વ.34) અને વેલજી રવા મેરીયા (ઉ.વ.60)ને ગોપાલ જેઠા મેરીયા, દિનેશ ગોપાલ મેરીયા, રોહિત ગોપાલ મેરીયાએ આવીને ધારીયા, તલવાર અને પાઇપથી માર મારીને ઇજા પહોંચાડી હતી. પધ્ધર પોલીસે બનાવની નોંધ લઇ આગળની તપાસ હાથ ધરી છે. તો, બીજી તરફ સુત્રોના જણાવ્યા પ્રમાણે બન્ને પક્ષ વચ્ચે અગાઉ કોરીપાટ પ્રસંગે ચકમક ઝરી હતી. બાદમાં નવરાત્રિના તહેવારની ઉજવણી મામલે મનદુ:ખ રાખીને 40 લોકો દ્વારા હુમલો કરાયો હોવાનું બહાર આવ્યું છે. જો કે, પોલીસ તપાસ કરી રહી છે.