ભચાઉમાં વૃદ્ધ અગ્રણીના માતાના નામે આવેલી મિલકત ખોટા આધારોથી વેચી નખવામાં આવતા ફરિયાદ નોંધાઈ

ભચાઉ અને રાપર વિસ્તારમાં જૈન ઓસવાળ સમાજના લોકો વર્ષોથી મુંબઇ મહારાષ્ટ્ર સહિતના વિસ્તારોમાં વ્યવસાય માટે સ્થાઈ થયા છે. પરંતુ માદરે વતનમાં તેઓની મિલકતો હોવાથી વડીલો સ્થાનિકે વસવાટ કરતાં હોય છે. જ્યારે મોટા ભાગની મિલકત ખાલી પડી રહે છે. આવી વડીલોપાર્જિત મિલકતો પર અમુક ઇસમો તંત્રની આટીઘૂંટીનો લાભ લઇ છળકપટ દ્વારા મિલકતના સોદા કરી દેતા હોવાની ફરિયાદ સમયાંતરે નોંધાતી રહે છે. ત્યારે આ રીતની ઘટના ફરી એક વખત બહાર આવી છે. જેમાં ભચાઉના જૈન અગ્રણીએ પોતાના માતાના નામે આવેલી મિલકત ઇસમોએ ખોટા આધારો બનાવી બરોબર વેચી નાખી હોવાની ફરિયાદ પોલીસમાં કરવામાં આવી છે. પોલીસે લેખિત રજૂઆતના પગલે તપાસની હાથ ધરી છે.

આ અંગે પ્રાપ્ત વિગતો મુજબ દાયકાઓથી મુંબઇ રહેતા ભચાઉ સ્થાનક્વાસી જૈન સંઘના પૂર્વ ટ્રસ્ટી કેશવજી થાવર ફરિયાના પુત્ર વિનોદ ફરિયા દ્વારા નોંધાયેલી ફરિયાદ અનુસાર તેમની માતાના નામે આવેલી રૂા. દોઢેક કરોડની કિંમતની વારસાગત મિલકત બારોબાર વેચી અન્યનાં નામે કરી દેવાઇ છે. ભચાઉમાં આવેલા આ મકાન અંગે પોતાના હક્કો જતા ન કરાયા હોવા છતાં આ સબંધી ખોટા આધારો ઊભા કરી કાવ્યાબેન રબારી અને બાબુ માલા રબારીએ પ્રકરણને અંજામ આપી છેતરપિંડી કરી હોવાની રજૂઆત પૂર્વ કચ્છ એસપીને આલેખીને કરવામાં આવી છે. પોલીસે અરજીના આધારે તપાસની તજવીજ હાથ ધરી હોવાનું જાણવા મળ્યું છે.