પેટલાદથી બાયડ‌ જતી ST બસમાં એક મુસાફરનું મૃત્યુ

copy image

પેટલાદથી બાયડ‌ જતી પેટલાદ ડેપોની બસમાં એક મુસાફરનું મૃત્યુ થતાં ચકચાર મચી છે. નડિયાદ ST ડેપોમાં આ બસ આવતાં બસના ઈમરજન્સી દરવાજાથી મુસાફરનો મૃતદેહ બહાર કઢાયો હતો.

આણંદ જિલ્લાના પેટલાદથી બાયડ મધ્યે જતી બસમાં મંગળવાર બપોરે એક મુસાફરના આકસ્મિક મોતના પગલે ચકચાર મચી જવા પામી છે. આ મરણજનાર વ્યક્તિ ઉંમરલાયક હતા અને તેઓ પેટલાદ મધ્યેથી આ લોકલ બસમા નડિયાદના જુના બીલોદરા મધ્યે આવવા નીકળ્યા હતા. છેલ્લી સીટમા બેસી તેઓ મુસાફરી કરી રહ્યા હતા ત્યારે ચાલુ બસમાં તેમના સ્વાસ્થ્યના લીધે તેઓનું મૃત્યુ થયું છે.

આ બસ નડિયાદ એસટી ડેપો મધ્યે 15 નંબરના સ્ટેન્ડ પર આવતા આ બસમાં સવાર મૃતક વ્યક્તિને બસમાંથી બહાર કાઢયો હતો. જોકે આ પહેલા 108ને જાણ કરવામાં આવતા તે અહીયા આવી પહોંચી હતી અને તપાસતા મૃત ઘોષિત કર્યા હતા. આ મુસાફરના મૃતદેહને બસના ઈમરજન્સી દરવાજાથી બહાર કાઢયો  હતો અને આ બાદ તેના સગાવ્હાલા ખાનગી વાહન વડે લઈ ગયા હતા. આ ઘટનાના પગલે પોલીસ પણ આવી પહોંચી હતી.