વરસાણાના વાડામાં 2 ટેન્કર માંથી સોયાબીન તેલની તસ્કરી થતી હતીને પોલીસ પહોચી : 1.32 કરોડનો મુદ્દામાલ જપ્ત


કંડલાની તેલ કંપનીઓ માંથી ટેન્કર ભરી દેશના અલગ અલગ ખૂણે તે જથ્થો પહોચાડાઈ રહ્યો છે, પરંતુ ગાંધીધામની હદ પર થતા જ તે ટેન્કરો માંથી ડ્રાઈવરો સાથે મિલીભગત કરી તેલની તસ્કરી કરી લેવામાં આવે છે. જે ચોરી છેલ્લા લાંબા સમયથી કરાઇ રહી છે. તેવામાં અંજાર પોલીસ તે વાડા સંચાલકના ઠેકાણે દરોડો પાડયો હતો અને લાઇવ ચોરી થતા પકડી હતી.
આ વિશે અંજાર પોલીસે વિગતો આપતા જણાવ્યું હતું કે, કંડલાથી સોયાબીન તેલનો જથ્થો ભરી બે ટેન્કર અંજાર તાલુકાના ભીમાસર (ચ) ગામની સીમમાં આવેલી લુઇસ કંપનીમાં ખાલી કરવા માટે નીકળ્યા હતા. જે દરમિયાન ગાંધીધામની હદ પાર કરી અંજાર તાલુકાના વરસાણા ગામની સીમમાં આવેલ આહીર પ્લાયવુડ ની બાજુમાં આવેલ પ્લોટ નંબર 27 પર ભચાઉ તાલુકાના છાડવાડા ગામના ભરત કરશન જરુના વાડામાં તે બંને ટેન્કરો ઉભા રહ્યા હતા અને વાડામાં કામ કરતા શંકર મારવાડી નામના સખ્શ વડે ટેન્કરના સીલ તોડી સોયાબીન તેલની ચોરી કરાઈ રહી હતી.
જેમાંથી આરોપીઓએ 100 લીટર તેલની ચોરી પણ લીધું હતું. જે ચોરી દરમિયાન અચાનક અંજાર પોલીસ ત્રાટકી પહોચી હતી. પોલીસને આવતી જોઈ ચોરી કરી રહેલો શંકર, વાડા માલિક ભરત જરુ અને એક ટેન્કરનો ચાલક ફરાર થઈ ગયો હતો. જયારે નંદગામમાં રહેતો ટેન્કર ચાલક હરજી રાજા રબારી ભાગતા સમયે પકડાઈ ગયો હતો. જેથી પોલીસે ચોરી કરેલો જથ્થો તેમજ ટેન્કરમાં ભરેલો રૂ. 97,81,325નો સોયાબીન તેલ, રૂ. 40 લાખના 2 ટેન્કર, મોબાઈલ, 2 બિલ્ટી મળી કુલ રૂ. 1.32 કરોડનો મુદ્દામાલ જપ્ત કરી એક આરોપીને પકડી લીધો હતો અને બાકીના આરોપીઓ વિરુદ્ધ ગુનો દાખલ કરી આગળની વધુ તપાસ હાથ ધરી છે.