નલિયા-ભુજ ધોરીમાર્ગ પર પશુઓ છૂટા મૂકી 1 કલાક સુધી ચક્કાજામ કરી ઉગ્ર વિરોધ નોધાવ્યો

copy image

સરકાર દ્વારા મુખ્યમંત્રી ગૌમાતા પોષણ યોજના હેઠળ પશુદીઠ રૂ.30 મુજબ 500 કરોડની રકમ ફાળવવાની જાહેરાત કરવામાં આવી હતી પરંતુ આ યોજનાની અમલવારી ન કરવામાં આવતા કચ્છ સહિત રાજ્યભરની પાંજરાપોળ, ગૌશાળાઓના સંચાલકોએ આનદોલનના શરૂ કર્યા છે અને ગુરૂવારે અબડાસા તાલુકાના રાતા તળાવ પાસે નલિયા-ભુજ હાઇવે પર ઢોર છૂટા મૂકીને એક કલાક સુધી ચક્કાજામ કરવામાં આવ્યો હતો.

રાજ્ય સરકારે ગૌમાતા પોષણ યોજનાની જાહેરાત કરી તેને 7 માસ વીતી ગયા હોવા છતાં તેની અમલવારી નહીં કરાતાં તા.29-9, ગુરૂવારના અબડાસા તાલુકાના રાતા તળાવ નજીક સંત વાલરામજી મહારાજ પાંજરાપોળ રાતા તળાવના ટ્રસ્ટી મનજીબાપુ ભાનુશાલી અને આગેવાનો, અબડાસા તાલુકાની ગૌશાળાઓ, પાંજરાપોળોના સંચાલકોએ સાથે મળી નલિયા-ભુજ હાઈવે ઉપર ઢોર છુટા મૂકી 1 કલાક સુધી ચક્કાજામ કરીને ઉગ્ર વિરોધ દર્શાવ્યો હતો.

મનજી બાપુએ જણાવ્યું હતું કે આ યોજના અંતર્ગત રાજ્ય સરકાર દ્વારા રૂ.500 કરોડની જાહેરાત કરવામાં આવી હતી અને તેના માટે પૂર્વે ભુજમાં પણ ગૌભક્ત સાથે મળી આમરણ ઉપવાસ કરવામાં આવ્યા હતા ત્યારે સ્થળ ઉપર ભાજપ સરકારના આગેવાનોએ તાત્કાલિક ધોરણે સરકાર દ્વારા ગૌમાતા પોષણ યોજનાની રકમની ચુકવણી કરાશે તેવું આશ્વાસન આપી પારણા કરાવામાં આવ્યા હતા. જો કે, હજુ સુધી રાજ્ય સરકારે કરેલી જાહેરાત અને આપેલા આશ્વાસનોની અમલવારી ન થતાં નાછૂટકે અબડાસાના ગૌશાળા, પાંજરાપોળના સંચાલકો અને ગૌપ્રેમીઓ દ્વારા નલિયા-ભુજ હાઇવે પર બંને બાજુ ઢોરને છોડી મુકી ચક્કાજામ કરવામાં આવ્યો હતો.

1 કલાક હાઈવે બંધ રહેતાં બંને બાજુ વાહનોની લાંબી લાઈનો લાગી હતી. જો કે, અબડાસા મામલતદારની દરમિયાનગીરીથી એક કલાક બાદ નલિયા-ભુજ હાઈવે ખુલ્લો કરવામાં આવ્યો હતો. મનજી બાપુએ જણાવ્યું હતું કે, જો સરકાર હજુ નહીં જાગે તો આવનારા દિવસોમાં નલિયા મધ્યે આવેલી સરકારી કચેરીઓમાં પણ પશુઓ છોડી મૂકવામાં આવશે. આ તકે મુંબઈથી પણ ગૌભક્તો જોડાયા હતા તથા સ્થાનિક આગેવાનોમાં કનુ બાવાજી, શિવજી મહેશ્વરી, નાનજી ભાનુશાલી, કિશોરસિંહ જાડેજા, ભીમજી વડોર, ઇબ્રાહીમ મંધરા ઉપરાંત અબડાસાની ગૌશાળા, પાંજરાપોળોના સંચાલકો, પશુપાલકો અને ગૌપ્રેમીઓ હાજર રહ્યા હતા.