માધાપર પોલીસે 4 મકાનોમાંથી ચોરી કરનાર 3 સગીર સહિત 4 ને ઝડપ્યા


ભુજમાં તબીબ સહિત ચાર મકાનોમાં ચોરીઓનો ભેદ ઉકેલવામાં માધાપર પોલીસને સફળતા મળી. ચાર-ચાર સ્થળે ચોરીને અંજામ આપનારા ત્રણ સગીર સહિત ચાર જણને પોલીસે પકડી લીધા છે. તપાસ દરમિયાન ભુજના બે અને એક માધાપરના ભંગારનાવાડાઓના સંચાલકોના નામ ખુલતાં તમામને પકડી લીધા હતા. ઝડપાયેલા શખ્સો પૈકી એક યુવકને કોર્ટના આદેશથી પાલારા જેલમાં (જ્યુડીશીયલ કસ્ટડીમાં )ધકેલી દેવામાં આવ્યો છે.
પ્રાપ્ત વિગતો અનુસાર માધાપર નવાવાસમાં વિશ્વકર્મા ગુજ્જર ટ્રસ્ટની સમાજવાડીમાંથી 4,300ની કિંમતના વાસણોની ચોરી, અને ભુજોડી પાસેના વર્ધમાનનગરમાં આવેલી હોસ્પિટલમાં 15 હજારની ઓકસીજનની લાઇનો, સ્ટીલના નળ, વાલ્વ અને કેબલની ચોરી કરનાર ભુજના સુરલભીટ રોડ પરની સંજયનગરીમાં રહેતા ત્રણ સગીરો અને ભુજ-માધાપર હાઇવે પર વાસપોડા ઝુંપડ પટ્ટીમાં રહેતા મહેશગર ઉર્ફે કાલો પ્રેમગર ગોસ્વામી (ઉ.વ.29) નામના ઈસમ સહિત ચાર લોકોને માધાપર પોલીસે પકડી પુછતાછ કરતાં આરોપીઓએ માધાપરની આ બે ચોરી તેમજ એ ડિવિઝન પોલીસની હદમાં આવતા જયનગર પાટીયા પાસે આવેલી ખાલી બિલ્ડીંગના ફ્લેટોના બારીના કાચ તોડી અંદરથી પીતળના નળ અને ફુવારાઓની ચોરી કરી તેમજ બી ડિવિઝન પોલીસ મથકમાં નોંધાયેલ આનંદ કોલોનીમાં રહેતા તબીબના ઘરમાંથી તસ્કરી કરી હોવાની કબુલાત કરી હતી.
આ ચોરાઉ માલ ભુજના રાવલવાડી રિલોકેશન મધ્યે રહેતા અને ભંગારનો ધંધો કરતા મનોજ હિરાલાલ ઠકકર (ઉ.વ. 34), અને ભુજના કેમ્પ એરિયામાં રહેતા અને ભંગારનો ધંધો કરતા સતાર મામદ થેબા (ઉ.વ.28) તથા માધાપરના જુનાવાસમાં સોની સમાજવાડી પાછળ સથવારાવાસમાં રહેતા અને ભંગારનો ધંધો કરતા રાજુ જયરામ સથવારા (ઉ.વ.25)ને આપ્યો હોવાની કેફીયત આપવામાં આવતા ભંગારનાવાડાના સંચાલકોને પોલીસે પકડી લઈ મુદામાલ રીકવર કરવા સહિતની તજવીજ હાથ ધરી. જ્યારે ઝડપાયેલા આરોપી મહેશગરને કોર્ટના આદેશથી પાલારા જેલમાં મોકલી વધુ તપાસ હાથ ધરી છે.