મેઘપર નજીક પોલીસમાં કરેલ અરજીનું મનદુખ રાખી, પિતા-પુત્રને કચડી મારવાનો પ્રયત્ન કરાતા પુત્રનું મોત

લખપત તાલુકાના મેઘપર ઓડીવાંઢ વચ્ચેના માર્ગ પર એક્ટિવાથી સાંજે જઇ રહેલા પિતા-પુત્ર પર ખનીજ વિભાગ તથા પોલીસમાં અરજી કરવાના મનદુ:ખ રાખીને જુણાચાયના ઇસમે ફોર્ચ્યુનર કાર ચડાવવા પાછળથી ધડાકાભેર ઉલાળતાં રોડ પર બંને ફંગોળાયા  જેમાં ગંભીર ઇજાઓ થતાં સારવાર દરમિયાન દિકરાનું મૃત્યુ નીપજ્યું હતું. જ્યારે પિતાને હાથ પગમાં ઇજા પહોચતા સારવાર અર્થે ભુજની લેવા પટેલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. યુવાનના મોતની ઘટનાને પગલે મૃતકના પરિવારજનો તથા સમાજના લોકો મોટી સંખ્યામાં હોસ્પિટલમાં એકત્ર થયા હતા.

જ્યાં સુધી આરોપીની અટકાયત ન થાય ત્યા સુધી લાશ સ્વીકારવાની મનાઈ કરી હતી. અલબત પોલીસે તાત્કાલિક આરોપીની અટકાયત કરી લેતાં પરિવારજનોએ યુવનના મૃતદેહનો અંતિમ વિધિ માટે લીધો હતો. ઘટના અંગે મેઘપર ગામમાં રહેતા ઘાયલ રમેશ ઉર્ફે રામજીભાઇ અરજણભાઇ બડીયા (ઉ.વ.44)એ આરોપી નવલસિંહ કારૂભા જાડેજા રહે જુણાચાય સામે ફરિયાદ દાખલ કરાવી હતી.

ફરિયાદમાં જણાવ્યા અનુસાર ફરિયાદી રમેશભાઇ ખાણ ખનિજ વિભાગ અને પોલીસ તંત્રમાં અરજીઓ કરતા હોવાટી જે બાબતનું આરોપીએ મનદુ:ખ રાખીને ફરિયાદીને મારી નાખવાના ઇરાદાથી ફરિયાદી અને તેમનો પુત્ર સાંજે સાડા છ વાગ્યાથી પોણા સાત વાગ્યાના સમયગાળામા મેઘપર અને ઓડીવાંઢ રોડ પર એક્ટિવાથી જતા હતા. ત્યારે ફોર્ચ્યુનર કારથી આરોપી નવલસિંહએ આવીને ફરિયાદીની એક્ટિવાને પાછળથી જોરદાર ઠોકર મારી હતી. જેમાં એક્ટિવા સવાર નરેન્દ્રભાઇ રમેશભાઇ બડીયા (ઉ.વ.23)નું સારવાર દરમિયાન રાત્રીના નવ વાગ્યે મૃત્યુ નીપજ્યું હતું.

જ્યારે ફરિયાદી રમેશભાઇને માથા અને હાથના ભાગમાં ઇજા થઈ હતી. ઘાયલ પિતા પુત્રને મેધપર ગામમાં રહેતા સુરેશ કાનજી બડીયા સારવાર અર્થે ભુજની જી. કે. જનરલ હોસ્પિટલમાં લઈ આવ્યા હતા. હાજર પરના ડોકટોરે નરેન્દ્ર બડીયાને મૃત જાહેર કરતાં મૃતકના પરિવારજનો અને સમાજના લોકોએ આરોપીઓની અટકાયત ન થાય ત્યાં સુધી લાશ સ્વીકારવાનો મનાઈ કરી મોટી સંખ્યામાં જી. કે. જનરલ હોસ્પિટલ મધ્યે એકત્ર થઇ ગયા હતા. નખત્રાણા ડીવાયએસપી, નરા પોલીસ મથકના સબ ઇન્સ્પેક્ટર સહિતનો પોલીસ કાફલો ભુજ હોસ્પિટલ મધ્યે દોડી આવ્યો હતો. બીજી બાજુ તાત્કાલિક આરોપીની અટકાયત કરી લેતાં મૃતકના પરિવારજનોએ યુવકની લાશનો કબજો મેળવી પીએમ કરાવ્યા પછી અંતિમ વિધિ માટે મેધપર ગામમાં લઇ જવામાં આવી હતી.

સ્થાનિક સુત્રોમાંથી જાણવા મળતી વિગતો અનુસાર મરણ જનાર નરેન્દ્રભાઇ રમેશભાઇ બડીયાના દિવાળી પછી લગ્ન હતા. પરિવારજનો ઘરમાં પ્રસંગ હોવાટી ઉત્સાહમાં હતા. ત્યાં કારથી અકસ્માત સર્જી નરેન્દ્રની હત્યા નીપજાવ્યાનો બનાવ બનતાં પરિવારજનોમાં આક્રંદ છવાયો હતો.

ઘાયલ રમેશભાઇ બડીયા મેઘપર ગામમાં રાશનની દુકાન ધરાવે છે. તેમજ લખપત તાલુકામાં એક જાગૃત નાગરિક તરીકે ગેર પ્રવૃતિઓને ઉજાગર કરવા જેતે તંત્રને અરજી કરીને ધ્યાન દોરતા હોવાનું બહાર આવ્યું છે. પોલીસ અને ખનિજ વિભાગને અરજી કરતા હોવાનું બહાર આવ્યું છે.