માતાના મૃતદેહ પરથી દોઢ લાખના દાગીના ગુમ થતાં વાઘોડિયા પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ

વાઘોડિયા તાલુકાના ખેરવાડી ગામમાં વૃદ્ધાનું મોત થતાં તેણીએ પહેરેલા અંદાજીત રૂા. દોઢ લાખના દાગીના ગુમ થઇ જતાં મામલો પોલીસ મથકે પહોંચ્યો. મૃતકની પુત્રીએ વાઘોડિયા પોલીસ મથકે ફરિયાદ દાખલ કરાવી છે. વાઘોડિયા પોલીસ અનુસાર બાપોદ મધ્યે રહતા વિધાત્રીબેન પંડ્યા તેમજ તેમની બહેનોનો પરીવાર માતા મંજુલાબેન પુરોહિતનું અવસાન થતાં ખેરવાડી પહોંચ્યા હતા.

તે દરમિયાન મંજુલાબેનના મૃતદેહ પર દોઢ લાખની સોનાની ચેન અને બે બંગડીઓ જોવા ન મળતાં વિધાત્રી બેનની નાની બહેન મેઘાવીબેનએ તેમના કુટુંબી કાકા કનુભાઇ અંબાલાલને પુરોહિત સોનાના દાગીના અંગે પુછતાં તેઓએ જણાવ્યું હતું કે, હાલમાં તેમના અંતીમ સંસ્કારની વિધિ કરવાની છે અને તુ આ વાત બંધ કર. તારી મમ્મીએ ઘરમાં કોઇ જગ્યાએ દાગીના મુક્યા હશે તેવું જણાવ્યું હતુ. ઉપરાંત મારા કાકા તથા કાકીએ અમને જણાવ્યું હતું કે, તારી મમ્મીનું અવસાન થયા પછી ચાદર અમે ઓઢાળી હતી. તારી મમ્મીના કાનમાં ફક્ત સોનાની બુટ્ટી હતી.

ત્યાર પછી અગ્નિ સંસ્કાર થયા બાદ ઘરમાં તપાસ કરાઈ હતી. જો કે ઘરમાંથી સોનાની બંગડીઓ કે ચેઇન વિધાત્રીબેનને મળ્યા ન હતા. જેથી તેમણે ફરિયાદ દાખલ કરાવી હતી. વાઘોડિયા પોલીસે બનાવ અંગે પુછપરછ શરૂ કરી તપાસ હાથ ધરી છે.