જંક્શન પ્લોટમાં ગંદકીથી ત્રસ્ત થયેલ લોકોએ મત બહિષ્કારની ચીમકી આપી


શહેરના જંક્શન પ્લોટ શેરી નં. 11, 12 અને 16ના રહેવાસીઓએ ગંદકીના પ્રશ્ને મત બહિષ્કારની ચીમકી આપ્યાનું બહાર આવ્યું. રહેવાસી મનોજ દવેના જણાવ્યા મુજબ આ વિસ્તારમાં રેલવે અને મનપા બંનેની હદ આવે છે. રેલવેએ ત્યાં ખાડા ખોદી નાખ્યા છે જેથી પાણી અને કીચડનો ત્રાસ છે અને તેમાં 70-80 ઢોર પણ પડ્યા રહે છે જેથી ગંદકી વધે છે.
ડેપ્યુટી મેયરને રજૂઆત કરવામાં આવતા તેઓએ વોર્ડ ઓફિસરને 24મીએ સ્થળ મુલાકાત કરવા મોકલ્યા હતા પણ પછી કોઇ કાર્યવાહી કરવામાં આવી નથી. વોર્ડ નં. 3ના કોર્પોરેટરને પણ રજૂઆતો કરી છે છતાં કોઇ નિરાકરણ ન આવતા જંક્શન પ્લોટ શેરી નં. 11/1, 12/1, 16/1ના રહેવાસીઓ ગંદકીથી કંટાડી ગયા છે અને આગામી ચૂંટણીમાં મતદાનનો બહિષ્કાર કરવાની ચીમકી ઉચ્ચારી છે.