ભુજમાં સરકાર સામે કોંગ્રેસે રાવણની જગ્યાએ સમસ્યાઓના પૂતળાનું દહન કરી, સરકાર વિરોધી સૂત્રોચાર કરી વિરોધ નોંધાવ્યો


રાજ્ય અને કેન્દ્રમાં ભાજપ સરકારના રાજમાં મોંઘવારી, બેરાજગારી અને ભ્રષ્ટાચારમાં સતત વધારો થઈ રહ્યો હોવાના આક્ષેપ સાથે ભુજમાં કોંગેસ દ્વારા દશેરાની રાત્રીએ લોકોમાં જાગૃતિ ફેલાવવા અને સરકારનું સમસ્યાઓ પ્રત્યે ધ્યાન દોરવા માટે આચાર્યજનક કાર્યક્રમ રજૂ કરાયો હતો. તેમાં પ્રજાને પજવતી મુખ્ય 10 સમસ્યાના નામો પૂતળા પર દર્શાવી તેનું જાહેરમાં દહન કરાયું હતું. ભુજમાં રાવણ દહન થતું ના હોવાથી લોકો પણ આ અનોખા કાર્યક્રમને જોવા ઉભા રહી ગયા હતા.
ભુજ શહેર કોંગેસની આગેવાની હેઠળ ગત રાત્રે શહેરના સ્ટેશન રોડ તથા ગાંધી સર્કલ પાસે રાવનરૂપી સમસ્યાઓનું પૂતળા સ્વરૂપે જાહેરમાં દહન કરી સરકાર વિરોધી સુત્રોચાર કરાયા હતા. આ અંગે શહેર કોંગ્રેસ પ્રમુખ કિશોરદાન ગઢવીએ જણાવ્યું હતું કે, કેન્દ્રમાં અને ગુજરાતમાં ભાજપ સરકાર ઇંધણ, ખાદ્ય સામગ્રીમાં ભાવ વધારો કર્યો છે. આરોગ્ય અને શિક્ષણની સ્થિતિ કથળી ગઈ છે પણ ધ્યાન આપવામાં નથી આવતું. રોડ રસ્તા સહિતના સરકારી કામોમાં ભ્રષ્ટાચાર, ભાજપના વિરોધમાં જનાર સામે સીબીઆઈ, ઇડીના દરોડા પડાવી ભયનો માહોલ સર્જી રહી છે. આ તમામ રાવણરૂપી સમસ્યા પ્રત્યે પ્રજામાં જાગૃતિ લાવવા અને સરકારનું ધ્યાન દોરવા 10 મુદ્દા દર્શાવતા પૂતળાનું દશેરાની રાત્રે દહન કરવામાં આવ્યું હતું અને સીબીઆઈ હાય હાય તથા ઇડી હાય હાયના નારા પોકારવામાં આવ્યા હતા.
પ્રથમ પૂતળું રાત્રે 8 વાગ્યે સ્ટેશન રોડ પર સ્ટેટ બેન્ક સામેના માર્ગે જલાવવામાં આવ્યું હતું. જ્યાં પોલીસે બાદમાં કાર્યકરોની ધરપકડ કરી હતી અને ત્યાર પછી રાત્રે 8.45 વાગ્યે હમીરસર તળાવ સામેના ગાંધી સર્કલ પર પૂતળાનું દહન કરવામાં આવ્યું હતું. લોકોએ પણ યોગ્ય કરી રહ્યાનું ગઢવીએ ઉમેર્યું હતું. આ સમયે કોંગ્રેસના હેમાંગ જોશી, કાસમ સમાં, હાસમ સમાં, જેન્તીલાલ પારેખ ,અમીષ મેહતા, સહેજાદ સમાં, અશરફ સૈયદ, અને ગની કુંભાર વગેરે જોડાયા હતા.