આદિપુરમાં મુન્દ્રા તરફની એસટી બસના અભાવથી કોલેજના વિદ્યાર્થીઓએ કર્યું હલ્લબોલ


એક બાજુ સરકાર દ્વારા શિક્ષણ ને મહત્વ આપવાનો જોર શોરથી પ્રચાર કરવામાં આવી રહ્યું છે.બીજી બાજુ ગુજરાત રાજ્ય માર્ગ પરિવહન વિભાગ શિક્ષણ પ્રાપ્ત કરવા અંતરિયાળ વિસ્તારોથી અપડાઉન કરતા વિધાર્થીઓને પૂરતી બસોની ફાળવણી વિશે ધરાર અન્યાય કરતુ હોવાના બનાવો સતત સામે આવી રહ્યા છે.ત્યારે આદિપુર એસટી ડેપો માં મુન્દ્રા થી અવર જવર કરતા છાત્રોએ અપેક્ષિત સગવડના અભાવથી બસો રોકી હલ્લાબોલ કરતાં સ્થાનિક પોલીસ દ્વારા ડેપોમાં ઘસી જઈ મામલો થાળે પાડવાની નોબત આવી હતી.
ઘટના સ્થળેથી અપડાઉન કરતા છાત્રોએ રોષ ભરાઈને આપેલી માહિતી અનુસાર મુન્દ્રા તથા તાલુકાના ગ્રામ્ય વિસ્તારો લૂણી, ગુંદાલા, ભદ્રેશ્વર, ચાંદ્રોડા, ખેડોઇ વગેરે જગ્યાએથી આદિપુર તોલાણી ઉપરાંત અન્ય શૈક્ષણિક સંસ્થાઓમાં અભ્યાસ કરતા 120 થી વધુ વિદ્યાર્થીઓ અવાર જવર કરે છે. તેમના થવા માટે સવારે 11 વાગ્યે ફક્ત એક બસ ઉપલબ્ધ હોવાથી 52 પેસેન્જરો ની ક્ષમતા ધરાવતી બસમાં રોજ છાત્રો ઠસાઇ ઠસાઈ ને ઘર પહોચે છે. જયારે કેટલાકને તો મજબૂરીમાં ખાનગી વાહનોમાં જવું પડે છે.
આ વિશે એસટી નિગમ સમક્ષ અનેક લેખિત રજૂઆત કરવામાં આવી હોવાની બાબત પર પ્રકાશ પાડતાં વિધાર્થીઓએ કોઈ પ્રતિસાદ સાંપડતો ન હોવાનો આંતર્નાદ જાહેર કર્યો હતો. વધુમાં હાલ પરીક્ષા શરુ થઇ હોવાથી કોલેજના સમયપત્રક મુજબ તે 11 વાગ્યે પૂર્ણ થાય છે. જેથી દોડી ને છાત્રોને બસ ડેપો સુધી પહોંચવું પડે છે.તેમાં જો 11 વાગ્યાની રેગ્યુલર બસ ચુકી જાય તો તેમના માટે બીજી બસ સીધી ચાર વાગ્યે મળે છે.