ગૌચરની જમીન પર દબાણની નોટિસ આપવા ગયેલી ટીમને બંધી બનાવાયા, 4 કલાક બાદ પોલીસે તમામને છોડાવ્યા


સાબરમતી જવાહર ચોકમાં આવેલી ગૌચરની જમીન પર ગેરકાયદે ઉભા થયેલા વિશ્વકર્મા નગરના બાંધકામને નોટિસ આપવા મહિલા રેવન્યૂ તલાટી ટીમ સાથે પહોંચ્યાં હતાં. 250 જેટલા માણસોના ટોળાંએ ટીમને ઘેરી હાથ – પગ તોડી દેવાની, જાનથી મારી નાખવાની ધમકી આપીને બંધી બનાવ્યાં હતાં. 4 કલાક પછી પોલીસે આવીને તલાટી અને ટીમને મુક્ત કરાવ્યા હતાં.
ગાંધીનગરમાં રહેતા દિપાલીબહેન પરમાર સાબરમતી રામનગર ચોક મધ્યેની અચેર સરકારી ચાવડીમાં રેવન્યૂ તલાટી છે. સાબરમતી જવાહર ચોક અચેર ગામની સીમમાં આવેલી સરકારી ગૌચરની જમીન પર ગેરકાયદે મકાનો બનાવી દેવામાં આવ્યા હતા.
જેથી આ દબાણો હટાવી લેવાની નોટિસો આપવા માટે દિપાલીબહેન તેમની ટીમ સાથે ત્યાં ગયાં હતાં. લગભગ 4 વાગ્યે દિપાલીબહેન તથા તેમની સાથેના સર્કલ ઓફિસર ક્રિષ્ણાબહેન પરમાર, બીજા તલાટી વિક્રમસિંહ ડી. વાઘેલા ઉપરાંત અન્ય કર્મચારી આકાશભાઈ કાપડિયા, ભીમસેન રાવળ અને દર્શનભાઈ રાવળ વિશ્વકર્મા નગરના રહીશોને રહેણાક અને ધાર્મિક દબાણ દૂર કરવાની નોટિસ આપી રહ્યા હતા તે દરમિયાન નરેન્દ્રભાઈ બેરવાએ ધમકી આપી હતી કે તમે કોણ છો અને અહીં શું કરી રહ્યા છો? તેઓ સરકારી ટીમ ઉપર ગુસ્સે થયા અને લગભગ 250 માણસોને ભેગા કરીને ટીમને ઘેરી લીધી હતી.
ઉપરાંત સરકારી ટીમને ધમકી આપી હતી કે જો અહીંથી જવાનો પ્રયત્ન કરશો તો હાથ – પગ તોડી દઈશું અને જાનથી મારી નાખીશું. તેમ કહીને ટીમને બંધી બનાવીને ગોંધી રખાઈ હતી. આટલું જ નહીં તમામના ફોન પણ લઈ લેવાયા હતા. લગભગ 4 કલાક સુધી આ ડ્રામા ચાલ્યો હતો. ત્યાર પછી પોલીસ આવતા, પોલીસે ટીમને છોડાવી હતી. આ વિશે દિપાલીબહેને સાબરમતી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરાવતા પોલીસે નરેન્દ્રભાઈ બેરવા તેમજ 250 માણસોના ટોળાં સામે ગુનો દાખલ કરી તપાસ શરૂ કરી હતી.
હાલમાં પોલીસે નરેન્દ્રભાઈ બેરવા સહિત 250 માણસ સામે ગુનો દાખલ કર્યો છે જેમાં નરેન્દ્રભાઈ સાથે અન્ય કોણ સામેલ હતા તે જાણવા માટે પોલીસે સરકારી ટીમના સભ્યોની પૂછપરછ શરૂ કરી છે ઉપરાંત જે પણ સભ્યોને નોટિસ આપવાની હતી તે લોકોની તપાસ શરૂ કરાઈ છે.