કોટેશ્વર નજીક નદીના પાણીમાં ગરકાવ થઈ જવાથી ત્રણ યુવકનાં મોત


હાંસોલ ઇન્દિરા બ્રિજ પાસે આવેલા કોટેશ્વર મહાદેવ મંદિર પાસેની નદીમાં દુર્ગા માતાની મૂર્તિ પધરાવવા ગયેલા ચાંદલોડિયા વિસ્તારના લોકોમાંથી ત્રણ યુવકો પાણીમાં ડૂબી ગયા હતા. ફાયરબ્રિગેડની ટીમે લગભગ 2 કલાકની જહેમત પછી ત્રણેય યુવાનોના મૃતદેહ બહાર કાઢી પોલીસને આપ્યા હતા. ફાયરબ્રિગેડના સૂત્રોના જણાવ્યા અનુસાર, ચાંદલોડિયા વિસ્તારના લોકો સાંજે કોટેશ્વર મહાદેવ મંદિર પાસે આવેલી નદીમાં દુર્ગા માતાની મૂર્તિ પધરાવવા ગયા હતા, જેમાંથી એક યુવાન પાણીમાં ગરકાવ થતા બીજો યુવાન તેને બચાવવા નદીમાં કૂદયો હતો.
જોકે તે બંને યુવાન બહાર ન આવતા તે બંનેને બચાવવા ત્રીજો યુવાન પણ નદીમાં પડ્યો હતો. જોકે લાંબા સમય સુધી ત્રણમાંથી એક પણ યુવાન બહાર ન આવતા ત્યાં હાજર લોકોમાંથી કોઈએ ફાયરબ્રિગેડને ફોન કર્યો હતો. આ બનાવની જાણ થતાં ચાંદખેડા અને શાહપુરથી ફાયરબ્રિગેડની ટીમ તાત્કાલિક નિકડી હતી. ફાયરબ્રિગેડના તરવૈયાઓ દ્વારા લગભગ 2 કલાક સુધી ત્રણેય યુવાનોની શોધખોળ કરવામાં આવી હતી. જ્યારે બે કલાક બાદ બે યુવાનોના મૃતદેહ મળી આવ્યા હતા. તેના લગભગ 1 કલાક પછી ત્રીજા યુવાનનો પણ મૃતદેહ મળી આવ્યો હતો.
મૃત્યુ પામેલા યુવાનોમાં ચાંદલોડિયામાં રહેતો સંજય ચૌહાણ (ઉં.20), રાહુલ કોરી (ઉં.20) અને એક ઉત્તરપ્રદેશનો રહેવાસી યુવાન હોવાનું ફાયરબ્રિગેડના અધિકારીઓએ જણાવ્યું હતું. આ વિશે પોલીસને જાણ થતાં પોલીસ અધિકારીઓ પણ ઘટના સ્થળે પહોચી આવ્યા હતા. ફાયરબ્રિગેડના જવાનો પાસેથી પોલીસે ત્રણેય યુવાનોના મૃતદેહનો કબજો સંભાડી પીએમ અર્થે હોસ્પિટલમાં મોકલી આપવામાં આવ્યા હતા. પીએમ સહિતની કાર્યવાહી પૂરી થતાં પોલીસે અકસ્માત અંગે મોતનો ગુનો દાખલ કરી ત્રણેય યુવાનોના મૃતદેહ તેમના પરિવારના સભ્યોને સોંપ્યા હતા.