ખંભાતમાં કારનો દરવાજો ખોલી રૂપિયા 3 લાખની રોકડની કરાઇ તસ્કરી


ખંભાતમાં બગડેલી કાર ભરબજારમાં મૂકી શાકભાજીનો વેપારી મિત્ર સાથે ઉઘરાણી કરવા ગયા તે દરમિયાન એ સમયે કોઈ ઈસમ દરવાજાનું લોક તોડી રૂપિયા ઉઘરાણીના રૂપિયા ત્રણ લાખ ભરેલી રોકડની ચોરી કરી લીધી. આ અંગે ખંભાત શહેર પોલીસે ગુનો દાખલ કરી તપાસ હાથ ધરી છે.
નડિયાદના ગોરઝા તલાવડી પરિવાર સોસાયટીમાં જાવેદ અબ્દુલરહીમ ચકલાસીયા રહે છે. તેઓ નડિયાદ તેમજ પેટલાદ, ખંભાતમાં શાકભાજીનો છૂટક અને હોલસેલનો વ્યવસાય કરે છે. ગુરૂવારે સવારે તેઓ મિત્ર રમીઝ વાકાવાલાને લઈને ખંભાત મધ્યે ઉઘરાણી કરવા માટે ગયા હતા તે દરમિયાન, તેઓ કાર લઈને ખંભાત મોટી શાક માર્કેટ પાસેથી પસાર થઈ રહ્યા હતા એ સમયે કોઈ ઇસમે કારમાંથી ધુમાડો અને ઓઈલ ટપકે છે તેવી ફરિયાદ કરી હતી. જેના સંદર્ભે તેમણે ભરબજારમાં તેમની કાર ઊભી રાખી હતી અને તપાસ કરી હતી.
એ બાદ તેમણે ગેરેજ મિકેનિકને ફોન કર્યો હતો અને તેમની કારને લોક મારી તેઓ ઊઘરાણી માટે નીકળ્યા હતા. તેઓ થોડે જ દૂર ગયા ત્યાં જ તેમની કારના સાયરનનો અવાજ આવ્યો હતો. તેઓ તુરંત જ દોડીને પછ ફર્યા ત્યારે કારની પાછળનો દરવાજો ખુલ્લો હતો અને કારમાં મૂકેલી રૂપિયા ત્રણ લાખ રોકડ ભરેલી બેગની ચોરી થઈ ગઈ હતી. આ અંગે તેમણે ખંભાત શહેર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરાવતા પોલીસે ગુનો દાખલ કરી કાર્યવાહી હાથ ધરી છે.