રસ્તો ઓળંગતા સમયે ટ્રકના ક્લીનરનું અજાણ્યા વાહનની અડફેટે આવી જતાં મોત


ભરૂચ નેશનલ હાઇવે પર લુવારા ગુરૂદ્વારા પાસેથી એક ટ્રકનો ક્લિનર રસ્તો ઓળંગી રહ્યો હતો તે દરમિયાન અજાણ્યા ફોરવ્હિલ ચાલકે ટક્કરે લેતાં તેનું ગંભીર ઇજાઓને લીધે સ્થળ પર જ મૃત્યુ થયું હતું. ઘટના અંગે નબીપુર પોલીસે ગુનો દાખલ કરી તપાસ શરૂ કરી છે.
પંજાબના મુક્તાસર મધ્યે રહેતાં જક્સીરસિંઘ ઠાકોરસિંઘ ટ્રક ડ્રાઇવિંગ કરે છે. તે ટ્રકમાં તેની સાથેના કંડક્ટર અજીતસિંહ આશાસિંહ સાથે હજીરાથી તેમની ટ્રકમાં પ્લાસ્ટિકના દાણા ભરીને પંજાબ જવા માટે નિકળ્યાં હતાં તે સમયે સુરત-ભરૂચ ક્રોસ કર્યાં પછી ભરૂચ નેશનલ હાઇવે પર લુવારા ગામ નજીક આવેલાં ગુરૂદ્વારા નજીક ચા- નાસ્તા માટે તેમણે ટ્રક ઉભી રાખી હતી.
આ દરમિયાન કન્ડક્ટર અજિતસિંહ ચાલતો રસ્તો ઓળંગી રહ્યો હતો તે સમયે એક અજાણ્યા ફોરવ્હિલના ચાલકે પુરપાટે અને બેદરકારીથી પોતાની કાર હંકારી લાવી તેમને ઠોકર મારી ગંભીર ઇજાઓ પહોંચાડી ભાગી ગયો હતો. ગંભીર ઇજાઓ થવાના કારણે તેનું સ્થળ પર જ મૃત્યુ થયું હતું.