તારાપુરમાં વીજ કંપનીનો વાયર, ટ્રાન્સફોર્મરમાંથી કોઇલ, ઓઇલ સહિતનો સાડા ત્રણ લાખનો સામાનની તસ્કરી

copy image

તારાપુરના કસબારાથી વરસડા જતી મુખ્ય વિજ લાઇન વાળી જગ્યા પર ચોરે વાયર, કોઇલ સહિત સાડા ત્રણ લાખની મત્તાની તસ્કરી કરી હતી. આ બાબતે તારાપુર પોલીસે ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે.

નડિયાદ રહેતા અને મધ્ય ગુજરાત વીજ કંપનીમાં સિનિયર એન્જીનીયર તરીકે ફરજ બજાવતા હિતેશકુમાર અજયભાઈ પંચાલે ફરિયાદમાં જણાવ્યું હતું કે, કસ્બારા ગામની સીમમાં આવેલા તારાપુર – વટામણ ધોરી માર્ગ પર ગ્રાહક ભગવાનભાઈનું 10 કેવીએ ટ્રાન્સફોર્મરમાંથી વીજ કોઇલ તેમજ ઓઇલ કિંમત રૂ.72,745 અજાણ્યા ઇસમો ચોરી કરી ગયાં હોવાનું જાણવા મળ્યું હતું. આથી, સ્થળ પર પહોંચી તપાસ કરતાં વીસેક દિવસ પૂર્વે ચાંગડા ગામની ચિતરવાડા રોડ પર સીમમાં 11 કેવી કસ્બારા એજી વિજ લાઇનના પોલ પર વાયરો ન હોવાનું જાણવા મળ્યું હતું. જે અજાણ્યો ઈસમ ચોરી  ગયો હતો. આ વાયર વિશે તપાસ કરતાં ત્રણ તારના કુલ 5400 મીટર કિંમત રૂ.1,49,952ની ચોરી થઇ હતી. તેમજ જીચકા ગામમાં રહેતા વિરેન્દ્રસિંહ ગોહિલના ખેતરમાં મોરજ ગામથી ગોરડ રોડ પાસે સીમમાં ખેતીવાડીની કેબી બુધેજ એજી વિજ લાઇનના ત્રણ તાર કિંમત રૂ.1,35,174ની કોઇ અજાણ્યા ઈસમ ચોરી કરી પલાયન થઈ ગયાં હતાં. આમ, છેલ્લા એક મહિનામાં ચોરે તારાપુર પંથકમાં રૂ.3,57,871ની મત્તા ચોરી કરી ફરાર થઈ ગયાં હતાં. આ બાબતે તારાપુર પોલીસે ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે.