રાજકોટમાં સિટી બસ રસ્તા વચ્ચે આગ લાગતા સળગી ઊઠી, આગ લાગ્યાનું કારણ અકબંધ


રાજકોટ શહેરના મવડીથી કણકોટ જતા રસ્તા પર અચાનક સિટી બસમાં આગ ભભૂકી ઉઠવાની ઘટના સામે આવી છે, જોકે ડ્રાઈવરની સમય સૂચકતાને લીધે મોટી જાનહાનિ થતાં ટળી છે. સિટી બસના કર્મીઓ દ્વારા પાણીનો મારો ચલાવી આગ પર કાબૂ મેળવવાનો પ્રયાસ કરાયો હતો. હાલ સમગ્ર બનાવનો વીડિયો સોશિયલ મીડિયામાં વાઇરલ થઈ રહ્યો છે.
વાઇરલ વીડિયોમાં સ્પષ્ટપણે જોઈ શકાય છે કે બસના આગળના ભાગમાં એન્જિનમાં આગ લાગી હતી. એ દરમિયાન સિટી બસના કર્મચારી દ્વારા પાણીનો મારો ચલાવીને આગ બુઝાવવાનો પ્રયત્ન કર્યો, પરંતુ આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરી લેતાં બસનો આખો આગળનો ભાગ સળગી ઉઠ્યો હતો. આ ઘટનામાં બસમાં આગ લાગવાને કારણે લાખોનું નુકસાન થયું હોવાનું સામે આવ્યું છે.
ઉલ્લેખનીય છે કે ગત તા.22 જાન્યુઆરી 2022ના રોજ ભક્તિનગર સર્કલ પાસે સિટી બસમાં શોર્ટસર્કિટ થવાને લીધે આગ લાગવાની ઘટના સામે આવી હતી, જે પછી તંત્ર જાગ્યું હોય તેમ તમામ બસમાં સેફટી ઓડિટ માટે સૂચના અપાઈ હતી. જો સમયાંતરે બસનું મેઇન્ટેનન્સ કરાયું હોય તો કદાચ આજે આ દુર્ઘટના ઘટી ન હોત.