ખોડાસરમાં આરોગ્ય, પાણી અને રોડની સમસ્યા ન ઉકેલાઇ તો ચૂંટણીનો કરાશે બહિષ્કાર

ભચાઉ તાલુકાના ખોડાસરમાં પાણી, આરોગ્ય, રસ્તા સહિતના પ્રશ્નો લાંબા સમયથી ન ઉકેલાતાં સરપંચ સહિત તમામ સભ્યોએ રાજીનામા આપવામાં આવશે અને આખું ગામ આગામી વિધાનસભાની સામાન્ય ચૂંટણીનો બહિષ્કાર કરશે તેવી ચિમકી ઉચ્ચારવામાં આવી છે. છેલ્લા વીસ વર્ષથી દર ચોમાસે ગામ સર્પક વિહોણું થઇ જાય છે. ગામમાં રસ્તા, પાણી, આરોગ્ય સહિતની સમસ્યાઓ છે, જે અંગે સંબંધિત તંત્ર સમક્ષ અનેક વખત રજૂઆતો કરાઇ હોવા છતાં પણ આજ દિવસ સુધી તેનો કોઇ જ ઉકેલ આવ્યો નથી. ગામના મોટાભાગના લોકો સૂકી ખેતી પર નિર્ભર છે.

ગામમાં ગ્રામપંચાયતની ચૂંટણી થતી નથી મોટાભાગે બિનહરીફ થતી હોય છે. ખોડાસર ગામ છેલ્લા વીસ વર્ષથી અનેક સમસ્યાઓથી પીડાઈ રહ્યું છે ત્યારે તેમાં ખાસ કરીને રસ્તા, પાણી, આરોગ્યની સુવિધાના નામે મીંડું છે. વધુમાં હાઇવેથી ગામ તરફ આવતા માર્ગ પર પાપડી છેલ્લા 20 વર્ષથી બની નથી, જેના કારણે દર ચોમાસે ગામ વિખુટું પડી જાય છે.

સરપંચ શાંતિબા રમેશભા ગઢવીએ જણાવ્યું હતું કે, ગામ રસ્તા, આરોગ્ય અને પાણીની સુવિધાથી લાંબા સમયથી વંચિત છે. ગામમાં પાણી 8 દિવસે એકવાર આવે છે તે બાબતે તંત્રને અનેક વખત રજુઆત કરાઇ છે છતાં તેનો નિકાલ આવ્યો નથી. જો આગામી સમયમાં સમસ્યાઓનો નિવેડો નહીં આવે તો વિધાનસભાની સામાન્ય ચૂંટણીનો બહિષ્કાર કરવાની સાથે ગ્રામપંચાયતના સરપંચ સહિત તમામ સભ્યો રાજીનામું આપી દેશે.