અંજારના પશુડાથી ભીમાસરનો આંતરિક માર્ગ બિસ્માર હાલતમાં હોવાથી વાહનચાલકોને ભારે હાલાકી


અંજાર તાલુકાના પશુડા ગામથી ભીમાસર તરફનો આંતરિક માર્ગ હાલ બિસ્માર હાલતમાં નજરે પડી રહ્યો છે. માર્ગની વચ્ચે મસમોટા ખાડાઓ પડી ગયા છે તો અનેક સ્થળે પોલાણ સર્જાતા ભુવા પડવાની શક્યતા પણ સ્થાનિક લોકોને સતાવી રહી છે. અંજાર અને ગાંધીધામ તરફ જવા માટે ગ્રામીણ લોકો માટે પશુડા માર્ગ અતિ મહત્વનો બની રહે છે. પરંતુ અહીંથી અવિરત ચાલતા ઓવરલોડ વાહનોના લીધે આ માર્ગ સંપૂર્ણપણે ખરાબ બની ગયો છે. જેને લઈ લોકોને પસાર થવામાં ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે.
ભચાઉ તાલુકાના લૂંણવા આસપાસના વાડી વિસ્તારના લોકો પશુડા ગામનો માર્ગ અંજાર તરફ જવા માટે ઉપયોગ કરતા હતા પરંતુ હાલ આ માર્ગ ખુબજ ખરાબ સ્થિતિમાં આવી જતા ખાનગી વાહનોની અવરજવર નહિવત બની જવા પામી છે. જ્યારે પરિવહન કરતા વાહનો હજુ ચાલી રહ્યા છે. સ્થાનિક લોકોની માંગણી છે કે સંબધિત તંત્ર દ્વારા તાકીદે માર્ગ સુધારણાનું કામ હાથ ધરાય અને પડી રહેલી મુશ્કેલીનું ઉકેલ લાવે.