અભ્યાસના તણાવમાં વરાછાની CAની વિદ્યાર્થિનીને કર્યો આપઘાત


વરાછા વિસ્તારમાં રહેતી સીએની વિદ્યાર્થિની એ. કે. રોડ ભવાની સર્કલ નજીકથી એસીડ પીધેલી હાલતમાં મળી હતી. જેથી વિદ્યાર્થિનીને સારવાર અર્થે સ્મીમેર હોસ્પિટલમાં દાખલ કરાઈ હતી, જ્યાં ટુંકી સારવાર પછી વિદ્યાર્થિનીનું મૃત્યુ થયું હતું. વિદ્યાર્થિનીના આ પગલા અંગે તેના પરિવાર દ્વારા અભ્યાસના તણાવમાં વિદ્યાર્થિનીએ આપઘાતનું પગલું ભર્યું હોવાની સંભાવના વ્યક્ત કરી છે.
મળતી વિગતો મુજબ, મૂળ અમરેલીના સારકુંડલા તાલુકાના સરખડીયાના વતની અને હાલમાં વરાછા વિસ્તારમાં એ. કે. રોડ મધ્યે આવેલી સૌરાષ્ટ્ર સોસાયટી વિભાગ-2માં રહેતા રાજુભાઈ લાલુ હીરાના કારખાનામાં કામ કરીને પોતાના પરિવારનું ગુજરાન ચલાવી રહ્યા છે. રાજુભાઈની 17 વર્ષીય પુત્રી કૃતિકા સીએનો અભ્યાસ કરતી હતી.
સવારે કૃતિકાએ એ. કે. રોડ વિસ્તારમાં આવેલા ભવાની સર્કલ નજીક એસિડ પી જઈને આપઘાત કરવાનો પ્રયત્ન કર્યો હતો. જો કે, આ દરમિયાન એક રાહદારીના ધ્યાન પર આવતાં તેમણે કૃતિકાના પિતાને આ વિશે જાણ કરી હતી, જેથી તેના પિતા અને કાકા કૃતિકાને તાત્કાલિક સારવાર અર્થે સ્મીમેર હોસ્પિટલમાં દાખલ કરાઈ હતી. જ્યાં ટૂંકી સારવાર પછી સાંજે તેનું મૃત્યુ નીપજયું હતું. કૃતિકાના આપઘાત અંગે તેના પરિવારના જણાવ્યા મુજબ, અભ્યાસના તણાવમાં તેણે આ પગલું ભર્યું હોવાની સંભાવના છે. છેલ્લા કેટલાક સમયથી તે આ વિશે હતાશ રહેતી હતી. ઘટના અંગે પોલીસે અકસ્માત મોતની દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે.