ધોરણ 1 થી ધોરણ 8 માં 230 વિદ્યાર્થીઓ કરી રહયાં છે અભ્યાસ : નવા ઓરડા બનાવીને આધુનિક સુવિધા પુરી પાડવા માંગ ઉઠી 

ગારિયાધાર તાલુકાની માનવિલાસ ગામની શાળાના ઓરડા જર્જરીત હાલતમાં છે.આ  બાબતે અનેક વાર રજુઆત કરવામાં છતાં આજ દિવસ સુધી કોઇ પગલા ભરાતા નથી.દરેક રૂતુમાં વિદ્યાર્થીઓને બહાર બેસીને અભ્યાસ કરવો પડે છે જેથી ગ્રામજનોમાં રોષ ફેલાયો છે. ગારિયાધારનાં માનવિલાસ ગામની શાળાના ઓરડા જર્જરિત હોવાથી અકસ્માત થવાની પુરી સંભાવના રહેલી છે.

શાળામાં કુલ 8 ઓરડા છે.તેમાંથી 6 ઓરડા જર્જરિત હાલતમાં છે અને માત્ર એક જ રૂમમાં વિધાર્થીઓ અભ્યાસ કરે છે અને એક શિક્ષકોનો સ્ટાફ રૂમ છે.ધોરણ 1 થી 8 માં અંદાજે 230 વિધાર્થીઓ અભ્યાસ કરે છે. વર્ષો જુના ઓરડાની દીવાલમાં તિરાડો પડી ગયેલી છે.ચોમાસા દરમિયાન વરસાદનું પાણી પણ પડે છે. સરકાર દ્વારા શિક્ષણ પાછળ લાખો રૂપિયાનો ખર્ચો દર વર્ષે કરવામાં આવે છે પરંતુ ગારિયાધારનાં માનવિલાસ ગામની શાળાની હાલત કંઈક અલગ જ જોવા મળી રહી છે.

માનવિલાસ શાળાનાં નવાં ઓરડા બનાવવામાં માટેની પ્રોસેસ ચાલુ જ છે. થોડા સમયમાં તે પ્રક્રિયા  ગાંધીનગર થી પુરી થયા પછી શાળાનાં રૂમો બનાવવાની કાર્યવાહી કરવામાં આવશે. – દિનેશભાઇ ઝાલા , ઇન્ચાર્જ તાલુકા શિક્ષણ અધિકારી ગારીયાધાર