બોરસદ-વાસદ હાઈવે પર અકસ્માત: કારચાલકે માતા-પુત્રીના અડફેટે લેતા મોત

બોરસદ – વાસદ ધોરી માર્ગ પર દાવોલ ગામ પાસે બ્રિજ પર રોંગ સાઈડે પુરપાટ દોડતી કારે સામેથી આવતી બાઇકને ઠોકર મારતાં તેના પર સવાર માતા – પુત્રીના મૃત્યુ થયું હતું. જ્યારે બાઇક ચાલકને ગંભીર ઇજા થતાં સારવાર અર્થે કરમસદ હોસ્પિટલમાં ખસેડાયા હતાં.

આંકલાવના રેલવે સ્ટેશન પાસે રહેતા રાજેશકુમાર રમણભાઈ પરમારના મોટાભાઈ ધવલભાઈ પરમાર છે. તેમના પરિવારમાં પત્નિ કોમલબહેન, બે બાળકો બંસરી (ઉ.વ.5) અને નાનો દિકરો ધ્રુવિક ઉર્ફે ધ્રુવ (ઉ.વ. દોઢ) છે. ધવલનો દિકરો ધ્રુવ બિમાર હોવાથી બોરસદ દવાખાને બતાવવા માટે સોમવાર સવારે કોમલબહેન, બંસરી સાથે ધ્રુવને લઇ આંકલાવથી બોરસદ તેમની બાઇક નં.જીજે 23 ડીએન 2533 પર જઈ રહ્યા હતાં. તે દરમિયાનમાં ધવલભાઇને દાવોલ બ્રિજ પર અકસ્માત થયાનું જાણવા મળતાં રાજેશકુમાર તુરંત ઘટના સ્થળે પહોંચ્યાં હતાં. તપાસ દરમિયાન કોમલબહેન અને બંસરીનું અકસ્માતમાં મૃત્યુ નિપજ્યું હતું. કાર નં.જીજે 25 એએ 1028ના ચાલક આશીષ વલ્લભ ફળદુ (રહે.સાયણ, સુરત)એ પોતાની કાર રોંગ સાઇડમાં પુરપાટે અને બેદરકારીથી ચલાવી ધવલભાઈના બાઇક સાથે અકસ્માત સર્જી દીધો હતો. જેના લીધે ધવલભાઈ અને ધ્રુવને ગંભીર ઇજા થઈ હતી. જેમને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડાયા હતાં. આ બનાવની જાણ થતાં બોરસદ શહેર પોલીસની ટીમ પણ સ્થળ પર પહોંચી હતી.

પોલીસ તપાસમાં કારના ચાલક આશીષ વલ્લભ ફળદુ (રહે.સાયણ, સુરત)એ પોતાની કાર બોરસદથી વાસદ તરફ જતા રોંગ સાઇડે દાવોલ બ્રિજ પર પુરપાટે અને બેદરકારીથી ચલાવી લાવી તથા આ રીતે વાહન ચલાવવાથી મોટો અકસ્માત થઇ શકે તેમ છે અને જાન માલનું નુકશાન થઇ શકે છે, તેમ જાણતા હોવા છતાં રોંગ સાઇડમાં પોતાનું વાહન ચલાવી ધવલભાઈની બાઇકને ઠોકર મારતાં માતા – પુત્રીના મૃત્યુ થયું હતું. જ્યારે પિતા – પુત્રને ગંભીર ઇજા પહોચતા સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડાયા હતાં. આ અંગે બોરસદ શહેર પોલીસે ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે.